દોહાઃ કતારમાં રાસ લાફાન ખાતે કાર્યરત સુપ્રસિદ્ધ બારજાન ગેસ પ્લાન્ટમાં રવિવારે પ્રચંડ વિસ્ફોટ થતાં 13 લોકોનાં મોત થયાં અને 66 લોકો ઇજાગ્રસ્ત થયા. મૃતકોમાં 12 ભારતીય નાગરિકો હતા. સરકારી માલિકીની કંપની કતાર એનર્જીએ જણાવ્યું કે, રાસ લાફાનમાં પ્લાન્ટ શરૂ કરવાના પ્રયાસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઇરાન યુદ્ધ દરમિયાન ઇરાની હુમલામાં આ ગેસ પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. રવિવારે સમારકામ બાદ પ્લાન્ટ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરાયો, જે દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ પ્લાન્ટ કતારના કુદરતી ગેસ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. આ ઘટનાથી વૈશ્વિક ઊર્જા બજારોમાં વધુ અસ્થિરતા પેદા થવાની આશંકા છે, કારણ કે કતાર દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકો પૈકી એક છે.
દક્ષિણ ગુજરાતના યુવાનોનાં પણ મોત
ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદથી કંપનીમાં નોકરી કરતો સુરતનો સની પટેલ લાપતા છે. પ્રાથમિક વિગતો મુજબ સની પટેલની ટીમમાં દક્ષિણ ગુજરાતના નવસારીના બે યુવાનો અને દમણનો એક યુવક પણ સામેલ હતો.
આ તમામ યુવાનોની સ્થિતિ હજુ સ્પષ્ટ ન થતાં નવસારી અને દમણના વિસ્તારોમાં પણ ચિંતા ફેલાઈ છે.

