ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાક. સરકાર સૈન્ય અને પોલીસના અત્યાચારો સામે ચાલી રહેલા આંદોલનમાં હવે સ્કૂલનાં બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યાં છે. 70 હજારથી વધુ લોકો ઘણા દિવસોથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. જેઓ હવે ‘પાકિસ્તાની સૈન્ય બહાર જાઓ’ના નારા પણ લગાવી રહ્યા છે.
રાવલકોટના ઈદગાહ મેદાનમાં મુખ્ય વિરોધ પ્રદર્શન સ્થળ પર 70 હજારથી વધુ પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ નોંધાવાયો, તેમાં હવે સ્કૂલનાં બાળકો પોસ્ટરો સાથે જોડાયાં છે. આ પોસ્ટરોમાં પાકિસ્તાન વિરોધી નારા સાથે બેનર સાથે વિરોધ કરાયો.
બાળકોએ નિઃશુલ્ક શિક્ષણ અને સારા ભોજનની માગણી પણ કરી છે. અત્યાર સુધી આ વિરોધ પ્રદર્શનોમાં 58 લોકોનાં મોત થયાં છે. 10થી 12 વર્ષનાં બાળકો સામેલ થતાં આંદોલનને વધુ ગતિ મળી છે. આ વિરોધ પ્રદર્શન માત્ર રાવલકોટ પૂરતું નથી રહ્યું, તે અનેક શહેરો અને ગામો સુધી પહોંચી ગયું છે. એટલે કે પીઓકેના તમામ વિસ્તારોમાં હાલ પાકિસ્તાન સરકાર, સૈન્ય અને પોલીસના દમન સામે આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શનમાં સામેલ લોકોને સંબોધતાં નેતા સરદાર અમન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાની અધિકારીઓ પાસે હવે કોઈ જ વિકલ્પ નથી જ્યારે અમારી પાસે ઘણી હિમ્મત છે. અત્યાચારો ચાલુ રહ્યા તો પાકિસ્તાની સેનાને પીઓકેથી બહાર કાઢીશું.

