યોગથી કેન્સર પેશન્ટ્સના મિજાજ, થાક-નબળાઈ અને તણાવમાં સુધારો

Wednesday 24th June 2026 07:50 EDT
 
 

લંડનઃ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને યોગની અનુપમ ભેટ આપી છે. વિજ્ઞાન પણ યોગના લાભને સ્વીકારે છે. કેન્સરના પેશન્ટ્સ તેમની સારવાર પછી તણાવ અને થાક-નબળાઈનો સામનો કરવામાં યોગથી લાભ મેળવી શકે છે તેમ સંશોધકો જણાવે છે. શિકાગોમાં અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની જનરલ મીટિંગમાં કેન્સરની સારવાર લઈ ચૂકેલા 400 પેશન્ટ્સ માટે ચાર સપ્તાહની ટ્રાયલના પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. આ ટ્રાયલ પછી પેશન્ટ્સને એન્ગ્ઝ્યાઈટી અને અનિદ્રામાં ઘટાડો થયાનું જણાયું હતું.
આ ટ્રાયલમાં ભાગ લેનારા અડધા પેશન્ટ્સને સ્ટાન્ડર્ડ થેરાપીની સારસંભાળ અને તબીબી ફોલો-અપ્સ અપાયા હતા જ્યારે અડધા પેશન્ટ્સે સપ્તાહમાં ત્રણ વખત યોગ સેશન્સમાં ભાગ લીધો હતો. આ યોગ સારવારમાં 18 હળવાં યોગાસન, શ્વાસોચ્છવાસ અને માઈન્ડફૂલ કસરતોનો સમાવેશ કરાયો હતો, જેનાથી કેન્સરની સારવાર પછીના માનસિક અનારોગ્યના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે.
કેન્સર સર્વાઈવરશિપ નિષ્ણાત ફુમિકો ચિનોએ જણાવ્યા અનુસાર આ માળખાગત યોગ કેન્સરમાંથી બહાર આવેલા પેશન્ટ્સમાં વારંવાર જણાવાતા અને સારવાર ન થઈ શકે તેવી સમસ્યાઓમાંથી કેટલીકને હળવી બનાવે છે અને અનિદ્રાની સ્થિતિ ઘટાડવા તરફ લઈ જાય છે. આ મહત્ત્વની પ્રગતિ છે કારણકે અનેક પ્રકારની દવાઓ લેતા પેશન્ટ્સને નોન-ફાર્માસ્યુટિકલ ઉપાય મળે છે જે એક સાથે ચાર અલગ આડઅસરોને ઘટાડે છે. યોગમાં ભાગ લેનારા પેશન્ટ્સને જણાયું હતું કે મૂડ અને એન્ગ્ઝ્યાઈટીનું મૂલ્યાંકન કરતા 65 પોઈન્ટ્સના સ્કેલમાં તેમનો મિજાજ 5 પોઈન્ટ સુધર્યો હતો તેમજ તેમની નબળાઈમાં 1.49 પોઈન્ટનો ઘટાડો અનુભવાયો હતો. ન્યૂ યોર્ક સ્ટેટમાં યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરના મુખ્ય અભ્યાસ આલેખક યુરી ચોઈએ જણાવ્યું હતું કે અન્ય બિહેવરિયલ સારવારથી છોડાયેલી ગેપને પૂરવામાં યોગ મદદ કરી શકે છે. અભ્યાસમાં જણાવાયું હતું કે કેન્સરમાંથી બહાર આવેલાઓમાં સમગ્રતયા મિજાજની ખલેલ, એન્ગ્ઝ્યાઈટી, નબળાઈ અને અનિદ્રાનો અનુભવ હોય ત્યારે તેમને યોગની ભલામણ કરવાનું વિચારાવું જોઈએ.


comments powered by Disqus