નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના મંદિર અર્થતંત્ર મોડેલએ અયોધ્યાને બદલી નાખ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) લખનૌના નવીનતમ કેસ સ્ટડી ‘અયોધ્યાનું આર્થિક પુનર્જાગરણ’એ સાબિત કર્યું છે કે રામ મંદિરના અભિષેક પછી, અયોધ્યા માત્ર આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ ભારતના મુખ્ય આર્થિક એન્જિન તરીકે પણ ઉભરી આવ્યું છે.
અહેવાલ મુજબ, અયોધ્યાનું અર્થતંત્ર રામમંદિર પૂર્વે સ્થાનિક યાત્રાધામો સુધી મર્યાદિત હતું. વાર્ષિક મુલાકાતીઓની સંખ્યા માત્ર 1.7 લાખ હતી, અને સ્થાનિક દુકાનદારોની સરેરાશ દૈનિક આવક રૂ. 400 - રૂ. 500 સુધી મર્યાદિત હતી. વર્તમાન પરિસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા છ મહિનામાં 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. નાના દુકાનદારો અને શેરી વિક્રેતાઓની દૈનિક આવક હવે પાંચ ગણી વધીને રૂ. 2,500 થઈ ગઈ છે.
આઇઆઇએમ - લખનૌના એક અહેવાલ મુજબ, અયોધ્યાનો વિકાસ હવે રાજ્યના મહેસૂલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. પર્યટન આધારિત પ્રવૃત્તિઓમાંથી કર આવક રૂ. 20,000 - 25,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. વધુમાં, વ્યવસાયિક ટર્નઓવરની દ્રષ્ટિએ, પ્રાણ પ્રતિષ્ઠાએ દેશભરમાં રૂ. 1 લાખ કરોડથી વધુનો વ્યવસાય પેદા કર્યો. જેમાં અયોધ્યાનો હિસ્સો સૌથી મોટો છે.
સ્થાવર મિલકતની દ્રષ્ટિએ જોઇએ તો, મંદિરની આસપાસની જમીનના ભાવમાં 5થી 10 ગણો વધારો જોવા મળ્યો છે. વધુમાં, અયોધ્યા હવે ઉત્તર પ્રદેશના યુવાનો માટે રોજગાર કેન્દ્ર બની રહ્યું છે. MSME ક્ષેત્ર હેઠળ અયોધ્યામાં લગભગ 6,000 નવા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સ્થપાયા છે.઼
નોકરીઓની દ્રષ્ટિએ, એવો અંદાજ છે કે આગામી 4-5 વર્ષમાં પ્રવાસન, પરિવહન અને આતિથ્ય ક્ષેત્રોમાં 1.2 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. અયોધ્યામાં 150 થી વધુ નવી હોટલ અને હોમસ્ટે ખુલી છે. તાજ, મેરિયોટ અને વિન્ધામ જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય હોટેલ ચેન હવે અયોધ્યામાં રોકાણ કરી રહી છે.
સરકાર અયોધ્યાને મોડલ સોલાર સિટી તરીકે વિકસાવી રહી છે. રૂા. 85,000 કરોડના પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ સાથે, ઇલેક્ટ્રિક વાહનો અને સૌર ઉર્જાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે ટકાઉ શહેરી વિકાસનું ઉદાહરણ સ્થાપિત કરે છે.

