વડીલો સહિત સર્વ વાચક મિત્રો, બ્રિટનમાં તો આપણે સહુ ભારે ઠંડીનો માહોલ અનુભવી રહ્યા છીએ ત્યારે માદરેવતન ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના કારણે ભારે ગરમીનો માહોલ છે. આપણે આ કોલમમાં બ્રિટન અને દેશ-વિદેશમાં સામાજિક, આર્થિક સહિત વિવિધ વિષયો પરત્વે ચર્ચા કરતા રહીએ છીએ. આજે ગુજરાતની ચૂંટણીના સંદર્ભે પડદા પાછળની રમતો, આટાપાટા અને સૌથી મહત્ત્વના વિષય પટેલ સમુદાય માટે અનામતની માગણી અને તેના સંદર્ભે રાજકીય પક્ષોના ગણિત અને તેના મૂળ વિશે પણ થોડું જાણીશું. ગુજરાત રાજ્યના સુજ્ઞ મતદારો નવી સરકાર માટે મતદાન કરશે તેના માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણીઓ મુદ્દાના આધારે લડાતી હોય ત્યાં સુધી તો બરાબર છે પરંતુ, ડિસેમ્બર ૯ અને ૧૪મીએ મતદાન થવાનું છે તે ગુજરાતની આગામી ચૂંટણીઓમાં જાતિ-જ્ઞાતિના સમીકરણો તેમજ રાજકીય તકવાદના ભયાનક ભોરિંગોએ ફૂંફાડા મારવા માંડ્યા છે. વર્ષો વીતી ગયાં છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની વ્યવસ્થા તદ્દન ખોટી, ગેરમાર્ગે દોરનારી અને દેખીતી રીતે જ ભેદભાવપૂર્ણ ઠરી છે. અનામતના રાક્ષસે ગુજરાતની ચૂંટણીઓને પણ આગમાં ઝઝકોરી છે, જ્યાં વિકાસ, પ્રગતિ, લોકકલ્યાણ સહિતના સાચા મુદ્દાઓ કોરાણે રહી ગયા છે. બધા પટેલબંધુ ભગીનીઓની માફક મને પણ મારા વિશિષ્ટ ઈતિહાસ અને વારસાનું ગૌરવ હોય અને રહે તે સ્વાભાવિક છે. પટેલો માટે અનામતની વર્તમાન ચર્ચામાં આવેશ વધુ છે અને સ્પષ્ટતા ખાતર પણ પટેલ એટલે કોણ, તેઓ ભારતના વિવિધ પ્રદેશોમાં કેવી રીતે સ્થળાંતર કરી ગયા, તેમણે કેવા પડકારોનો સામનો કર્યો અને જીવનના તમામ ક્ષેત્રે વર્તમાન દમદાર દરજ્જા સુધી કેવી રીતે પહોંચ્યા તે બધી બાબતો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ચકાસવી આવશ્યક જણાય છે.
પ્રગતિની દિશામાં પ્રથમ સોપાન
સામાન્યપણે પાટીદાર તરીકે ઓળખાયેલા ગુજરાતના પટેલોના પૂર્વજોએ આશરે વર્ષ ૧૧૮૦માં મૂળ પંજાબથી સ્થળાંતર કર્યું હતું. પટેલોના મૂળ અને ભારતના વિવિધ વિસ્તારો, ખાસ કરીને ગુજરાતમાં તેમના સ્થળાંતરને દર્શાવતા સઘન દસ્તાવેજી રેકોર્ડ્સ પણ ઉપલબ્ધ છે. પટેલ કોમ આજકાલની તો નથી જ. અખંડ ભારતમાં મૂળ ‘કુર્મી’ તરીકે ઓળખાયેલી જાતિનો ઉલ્લેખ સૌથી પુરાણા ઋગ્વેદ-અર્થવવેદમાં પણ જોવા મળ્યો છે. વીતેલા યુગોમાં સમાજ ખેતી પર જ નભતો હતો ત્યારે પરિવાર અથવા ‘કુટુંબ’નો મોભી અથવા તો વડીલ ‘કુટુંબિન’ તરીકે ઓળખાતો હતો. આ શબ્દ સમયાંતરે અપભ્રંશ પામીને કુંબી, તે પછી કુણબી અને ૧૭મી સદી સુધીમાં કણબી નામે ઓળખાતો થઈ ગયો હતો.
પટેલ લોકોએ પંજાબમાંથી સ્થળાંતર આદર્યું તે પછી તેઓ પૂર્વ દિશામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળ તરફ આગળ વધતા ગયા તો દક્ષિણમાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશના થોડાં વિસ્તારોમાં થઈ મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત સમગ્ર ભારતમાં તેમનો ફેલાવો થયો હતો. ૧૫મી સદી સુધીમાં તો ખેતીવાડી અને કૃષિ સંબંધિત વ્યવસાયમાં પટેલો એટલા નિષ્ણાત થઈ ગયા હતા કે પટેલ કોમની વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા સ્થાપિત થઈ ગઈ.
સુલતાન અહમદ શાહે ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી તે પહેલાં ગુજરાતમાં પાટીદારોની સૌથી મોટી વસાહતનું અસ્તિત્વ ગાંધીનગર નજીક અડાલજ ગામે હોવાનાં રેકોર્ડ્સ મળે છે. શાસન કોઈ પણ હોય, રાજપૂત રાજવીઓ કે સુલતાન અથવા તો મોગલ બાદશાહોના શાસનકાળ દરમિયાન પટેલ કોમ ખેતીવાડીમાં અગ્રેસર રહી હતી. તે સમયગાળામાં રાજ્યોની સુખસમૃદ્ધિ કે અર્થતંત્રો ખેતી પર જ નિર્ભર હોવાના પરિણામે જ, અનેક રાજાઓ પોતાના રાજ્યોનાં આર્થિક વિકાસ માટે પટેલોને પોતાના રાજ્યમાં વસવા માટે તમામ સુવિધાઓ આપવા સાથે આમંત્રિત કરતા હતા.
પટેલો ભલે ખેતીવાડીમાં નિષ્ણાત હતા અને તેમનું માન-સન્માન થતું હતું પરંતુ, તેમની પાસે પોતાની કહેવાય તેવી કોઈ જમીન ન હતી. તેઓ તો મુખ્યત્વે જમીનદારોની જમીનો પર ખેતી કરતા હતા. સુલતાનો અને મોગલ શાસનકાળમાં રાજ્યોની આવક મેળવવાનું સાધન ખેતી પર મહેસૂલ અથવા લગાન નાખવાની કરપદ્ધતિ જ હતી. તે સમયે દરેક તાલુકા અથવા ઉઘરાવવા ઈજારા આપવામાં આવતા અને તેઓ મહેસૂલ ઉઘરાવી જે તે રાજાઓની તિજોરીમાં મોકલી આપતા હતા.
મોગલ શહેનશાહ અકબરના નવરત્નોમાં એક અને હિન્દુ ખજાનચી અને નાણામંત્રી રાજા ટોડરમલે મહેસૂલ પદ્ધતિમાં એવા તર્કબદ્ધ સુધારા કર્યા કે પાક સારો કે ખરાબ જાય તેના ધોરણે મહેસૂલ ભરવાનું રહે. આ નવી કરપદ્ધતિના સારા પરિણામ જોવા મળ્યા હતા. બ્રિટિશરોએ પણ વધતાઓછાં અંશે આ પદ્ધતિ અપનાવી હતી. પટેલ લોકો અને ખાસ કરીને મધ્ય ગુજરાતના પટેલો વધુ સમૃદ્ધ બન્યા. બાદશાહ ઓરંગઝેબનો પુત્ર ગુજરાતનો સુબો હતો. બહાદુર શાહ વસનદાસ નામના પાટીદારને ગુજરાતના સૂબા શાહ સાથે સીધો સંપર્ક હતો. વસનદાસે કોઈ ખાસ શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ, તેનામાં ભારે કોઠાસૂઝ હતી, જે સામાન્યપણે પટેલોમાં જોવા મળે છે. વસનદાસ શતરંજ ખેલવામાં માહિર હતા અને તેમને હીરા તેમજ અન્ય કિંમતી રત્નોની ઓળખ અને મૂલ્યાંકન કરવાની ભારે ફાવટ પણ હતી.
ઈ.સ. ૧૭૦૩માં વીર વસનદાસ તરીકે નામના મેળવી ચૂકેલા વસનદાસે બહાદૂર શાહની હાજરીમાં ખેડા જિલ્લાના પીપલાવ ગામે હજારોની સંખ્યામાં પટેલોનો મેળાવડો યોજાય તેવું આયોજન કર્યું હતું. આ મેળાવડામાં બહાદૂર શાહે તમામ કણબીઓ હવે પાટીદાર- પાટી એટલે જમીન અને દાર એટલે માલિક- નામે ઓળખાશે તેવો આદેશ જારી કર્યો હતો. ત્યારથી પટેલોએ પોતાની જમીન ઉપર માલિકીહક્ક મેળવ્યા. આ પછી, સમગ્ર ગુજરાત તેમજ ભારતના અન્ય વિસ્તારોમાં પટેલોએ ઝડપભેર પ્રગતિ સાધવામાં જરા પણ પાછું વળીને જોયું નથી.
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત
અહીં મને મહાકવિ દલપતરામની ‘કરતા જાળ કરોળિયો..’ કવિતાની યાદ આવે છે. જાળ કરતા કરતા કરોળિયો પાંચ વખત પટકાય છે છતાં, હિંમત હાર્યા વિના છઠ્ઠો પ્રયત્ન કરે છે અને સફળતાને વરે છે. આ પટેલોનું પણ એવું જ છે. તેઓ માત્ર ખેતીને વળગી રહ્યા નથી. ખેતીની સાથોસાથ પટેલ સમુદાયના લોકોએ ધીરધારનો ધંધો પણ શરુ કર્યો. તેઓ માલસામાનની હેરફેર કરનારા સૌથી મોટા કોન્ટ્રાક્ટર પણ બન્યા અને બળદગાડાંમાં સામાનની હેરફેર કરવા લાગ્યા. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ગળી અને અન્ય પેદાશો સહિત અન્ય બિઝનેસીસ અને ઉત્પાદનમાં જોડાયા.
બ્રિટિશ શાસનકાળમાં એટલે કે ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં પાટીદારોએ ભારતની બહાર ફીજી, સાઉથ આફ્રિકા, ઈસ્ટ આફ્રિકા, એડન અને દરિયાપાર અન્ય દેશોમાં મોટાપાયે સ્થળાંતર આદર્યું. આઝાદીનું આગમન થયું તે ગાળામાં બોમ્બે સ્ટેટ સરકારે ટિલર્સ એક્ટ અને મની લેન્ડર્સ એક્ટ એમ બે કાયદા પસાર કર્યા હતા. ગઈ કાલના ભૂમિવિહોણા ખેતમજૂરો જમીનમાલિક બની ગયા. તે સમયમાં જમીનમાલિકો ભૂમિવિહોણા ખેડૂતો અથવા ગણોતિયાઓ પાસે પોતાની જમીનોમાં વાવેતર કરાવતા અને તેમની પાસેથી ચોક્કસ પ્રમાણમાં અનાજની પેદાશનો હિસ્સો ભાડાં તરીકે વસૂલ કરતા હતા. આમ તો, મોટા ભાગના કાયદા સિસ્ટમને આધુનિક અને ન્યાયી બનાવવાના સારા હેતુ સાથે જ ઘડાતા હોય છે. ટિલર્સ એક્ટનો હેતુ પણ આવો જ હતો પરંતુ, ગણતરીઓ પાટીદાર કોમ માટે તદ્દન ખોટી પડી હતી. મોટા ભાગના પટેલ જમીનમાલિકોની જમીનો ગણોતિયા ખેડૂતોના હાથમાં જઈ પડી. આ જ રીતે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સહિતના કેટલાક વિસ્તારોમાં જે નાણા ધીરધાર કરનારાઓએ વધારાના વ્યાજ તરીકે રકમો મેળવી હતી તેને મૂળ રકમ સામે એડજસ્ટ કરીને જતી કરવાની ફરજ પડી હતી.
સમૃદ્ધિના જે તબક્કે પહોંચવા અનેક પેઢીઓએ પરસેવો વહાવ્યો હતો તે પટેલો માટે આ સમયગાળો ઘણો જ પડકારજનક હતો. જોકે, તેમણે સારા ઈરાદાસરના કાયદાને સ્વીકારી જ લીધો. સમગ્ર ગુજરાતમાં ડાઈવર્સીફિકેશન એટલે વૈવિધ્યીકરણની પ્રક્રિયાનો આરંભ થવા સાથે ભારતમાં પ્રજાસત્તાક રીઝર્વેશન તેમજ ક્વોટા સિસ્ટમનો અમલ શરુ કરી દેવાયો હતો. શિક્ષણ, વ્યવસાયો, ઉદ્યોગ હોય કે વેપાર, અત્યાર સુધી જે પ્રવૃત્તિ તદ્દન અજાણી લાગતી હતી તેમાં પણ પટેલોએ ઝડપથી પગપેસારો કર્યો અને આપણે આગળ વાંચ્યું તેમ ‘આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત’ના હિસાબે પટેલોએ ભારે પરિશ્રમ આદર્યો અને ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની પરંપરાથી મોટા ભાગના ક્ષેત્રોમાં તેઓ અવ્વલ બનતા ગયા. આ જ મહેનત, ધીરજ અને ખંતથી પાટીદારો ગુજરાતમાં તેમનું વર્તમાન અગ્રસ્થાન શોભાવે છે.
આ જ અંકમાં શ્રી હસમુખભાઈ વસાવાનો અન્ય માહિતીપ્રદ લેખ આપ સહુને વાંચવા મળશે અને તેથી જ હું કેટલાંક મુદ્દાઓનું પુનરાવર્તન કરવાનું ટાળું છું. રિઝર્વેશન અથવા તો ક્વોટા સિસ્ટમ વિના પણ પટેલ સમુદાય, દેશ હોય કે દેશાવર, પ્રગતિના પંથે પોતાની ગતિને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. દરિયાપાર વસતા પટેલોએ હોસ્પિટાલિટી, મેડિસીન, એકાઉન્ટન્સી, ટ્રેડિંગ તેમજ અન્ય વિવિધ સેક્ટર્સમાં શિખરો સર કર્યા છે. પ્રમાણમાં નાનો સમુદાય પોતાની સાઈઝથી ત્રણ કે પાંચ ગણી સમૃદ્ધિ હાંસલ કરી શક્યો છે. ખરેખર નોંધપાત્ર બીના છે.
કોંગ્રેસની રાજરમતના સોગઠાં શું છે?
એક રીતે વિચારીએ તો હાર્દિક પટેલ સાવ ખોટો પણ નથી. યુવા પેઢીના પટેલોએ મેડિસીન, એન્જિનીઅરીંગ કે અન્ય કોઈ પણ સ્પેશિયાલિસ્ટ કોર્સીસમાં પ્રવેશ મેળવવો હોય તો લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. આનાથી સર્જાયેલા આક્રોશનું જ પ્રતિનિધિત્વ હાર્દિક કરી રહ્યો છે. આ પટેલ યુવાનોએ SC, ST અને OBC ક્વોટા માટે ફાળવાયેલી ૫૦ ટકા અનામત બેઠકોનો ગેરફાયદો અનુભવ્યો છે. પરંતુ હાર્દિકની રણનીતિ ખરાબ રીતે નિષ્ફળ નીવડશે. પાટીદાર ઓબીસી બનવા તૈયાર જણાતા નથી. પાટીદારો દરેક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, હિન્દુત્વના અલગ અલગ પંથ અથવા સંપ્રદાયો સાથે જોડાયેલા છે. વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા શોષણ થવાની કમનસીબી ધરાવતાં અન્ય જૂથોની માફક તેઓ કદી વોટબેન્ક બન્યા નથી. ગુજરાતનો કોઈ પાટીદાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ની કુખ્યાત KHAM નીતિને ભૂલવા કે માફ કરવાને સક્ષમ નથી.
કોંગ્રેસના ખમતીધર નેતા માધવસિંહ સોલંકીએ ૧૯૮૦ના દાયકામાં પાર્ટી માટે KHAM એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમની નવી વોટબેન્ક ઉભી કરવાની સ્વાર્થી વ્યૂહરચના ઘડી આગળ વધારી હતી. ગુજરાતની જનતાએ ‘ખામ’ સમીકરણના માઠાં ફળ ચાખ્યાં હોવાં છતાં, રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટી પાટીદાર, ઠાકોર, દલિત તેમજ મુસ્લિમ અને આદિવાસીઓનું ગઠબંધન રચી જાતિ-જ્ઞાતિનું વધુ એક સમીકરણ ગુજરાતના માથે મારવા તૈયાર છે. તેઓ ગુજરાતના મતદારો અને ખાસ કરીને પટેલોનું સમર્થન કેવી રીતે હાંસલ કરવાની અપેક્ષા ધરાવે છે? હું એક બાબત તરફ ધ્યાન દોરવા ઈચ્છું છું કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસની કલ્પનાનો સમગ્ર આધાર જ તર્કહીન છે કારણકે હાર્દિક અને તેના ચૂસ્ત સમર્થકોએ ઉભા કરેલા મુદ્દાઓનું નિરાકરણ લાવી શકે તેવી ખાતરીબદ્ધ ફોર્મ્યુલા તેમની પાસે છે જ નહિ. ગાંધી અને તેમના ગોઠિયાઓ આખો લાડવો ખાવા એટલા ઘાંઘા થયા છે કે અનામતનો મહત્તમ ક્વોટા ૫૦ ટકાથી વધવો ન જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના ૧૯૯૦ના ચુકાદાને કેવી રીતે વળોટી શકાય તે તેમને ખબર જ નથી.
કોંગ્રેસ અને તેના લોભનો સ્વાદ આપણે બધાએ અનુભવ્યો છે. પાટીદાર, ઠાકોર અને દલિત જૂથોની નજર પણ સત્તાફળ આરોગવા પર છે ત્યારે યુવરાજ ગાંધી બેઠકોનું વિભાજન કેવી રીતે કરવા ધારે છે? કોંગ્રેસે પાંખમાં લીધેલા આ ત્રણ જૂથોની ટ્રેજેડી એ છે કે ઠાકોર, પટેલ અને દલિતોનો મેળ એકબીજા સાથે બરાબર બેસતો નથી. અને રિઝર્વેશન પોલિસી અંગે પણ તેમના મત ભિન્ન છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે કોંગ્રેસનું ગઠબંધન જોઈએ તો બંને પક્ષ સત્તાની રસ્સાખેંચમાં પ્રાઈઝ આખરે તો ભાજપના ખોળામાં જઈ પડે તેવી જ પરિસ્થિતિ સર્જશે. આ સંજોગોમાં કોંગ્રેસ ત્રણે જૂથોને એક સાથે સંતોષ આપી પોતાનો ફાયદો મેળવી શકશે તેમ હું માનતો નથી. (ક્રમશઃ)
કરતા જાળ કરોળિયો...
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.
– દલપતરામ