‘નરેન્દ્ર મોદીને આવકારવા અમે ઉત્સુક છીએ’

એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુઃ વડા પ્રધાન ડેવિડ કેમરન

લંડનઃ દિવાળીના શુભ તહેવારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં વડા પ્રધાન ડેવિડ કેમરને એશિયન મતદારોને ખાતરી આપી હતી કે તેમની કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી અને પક્ષ વચ્ચેની ખાઈ પૂરવા તમામ પ્રયાસ કરી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ અન્ય કોમ્યુનિટીઓનો ટેકો અને મત મેળવવા પૂરતું કાર્ય કર્યું ન હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આગામી ચૂંટણીમાં બહુમતી ન મળે તો પક્ષ UKIP સાથે ગઠબંધન કરી શકે તેવી અટકળો વચ્ચે તેમનો ઉત્તર આવ્યો હતો.

બ્રિટિશ એશિયનો મજબૂત રુઢિચૂસ્ત મૂલ્યો ધરાવે છે

તેમણે કહ્યું હતું કે, ‘અમારી સામેનો આ પડકાર હું ઝીલી લેવા ઈચ્છું છું. બ્રિટિશ એશિયનો મજબૂત રુઢિચૂસ્ત મૂલ્યો ધરાવે છે. તેઓ સાહસમાં અને સમાજને કશું પરત આપવામાં માને છે. મને ઘણી વખત વિચાર આવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ તે અન્ય કોમ્યુનિટીઓ પ્રત્યે કેટલી ખુલ્લા મનની છે તે દર્શાવવા તથા તેઓ અમારી સાથે આવે, ટેકો અને મત આપે અને ભાગ લઈ શકે તે માટે પૂરતું કાર્ય કર્યું નથી. જોકે હવે ઘણું બદલાયું છે. હાઉસ ઓફ કોમન્સ, હાઉસ ઓફ લોર્ડ્સ અને સમગ્ર દેશમાં કાઉન્સિલ ચેમ્બર્સની બેન્ચીસ પર ઘણા બ્રિટિશ એશિયન  કન્ઝર્વેટિવ્સ સ્થાન ધરાવે છે. કન્ઝર્વેટિવ મૂલ્યોને ટેકાને પાર્ટીના ટેકામાં બદલવાનો સમય આવ્યો છે.

ભારતીયો સહિત વંશીય લઘુમતીનો ટોરી પાર્ટીને ઓછો સપોર્ટ

૨૦૧૦ ગત ચૂંટણી પછીના અભ્યાસમાં જણાયું હતું કે શ્વેત મતદારોના ૪૦ ટકાએ કન્ઝર્વેટીવ પાર્ટીને સપોર્ટ કર્યો હતો જ્યારે ભારતીયો સહિત માત્ર ૧૬ ટકા વંશીય લઘુમતીએ કન્ઝર્વેટીવ પાર્ટી માટે મતદાન કર્યું હતું. બ્રિટિશરોમાં ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી વધુ પસંદગીપાત્ર બની રહ્યો છે અને ઈમિગ્રેશનના મુદ્દાને વટાવવા સાથે યુકેઆઈપીની લોકપ્રિયતા વધી રહી છે.
આ મુદ્દાએ યુ.કે.ની ઈમિગ્રેશન નીતિઓ અંગે કેમરનની વિચારધારાને અસર પાડી હોય ત્યારે એમ મનાય છે કે, જો ટોરી પાર્ટી ૨૦૧૫ની ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહે તો યુકેઆઈપીના નેતા નાઈઝેલ ફરાઝની સાથે ટોરી પાર્ટી હાથ મિલાવે તેવી ભારે શક્યતા છે. એશિયન મતદારોના મતે, આ ઘટના આફતરૂપ બની રહેશે.

મોદીને બ્રિટન આવવાનું ખુલ્લું આમંત્રણ છે

કેમરને વડા પ્રધાન મોદીની આગામી બ્રિટન મુલાકાત અંગે જણાવ્યું હતું કે, શ્રી મોદીને યુકેમાં આવવા માટે ખુલ્લું આમંત્રણ છે. એમ મનાય છે કે, કેમરને જાન્યુઆરીમાં પાર્લામેન્ટ સ્કેવર ખાતે ગાંધીજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ભારતીય વડા પ્રધાનને ખાસ આમંત્રિત કર્યાં છે. જોકે, અટકળો એવી છે કે શ્રી મોદી જાન્યુઆરીમાં કદાચ આવી શકશે નહીં, પરંતુ નવા વર્ષના પૂર્વાર્ધમાં તેમનું આગમન શક્ય બની શકે છે.
કેમરને ઉમેર્યું હતું કે, હજુ સુધી અમને તારીખ મળી નથી. પરંતુ આમંત્રણ તો ખુલ્લું જ છે. હું જાણું છું કે, બ્રિટનના ઘણા લોકો દ્વારા તેમનું હૂંફાળું સ્વાગત કરાશે. આ લોકો વડા પ્રધાન તરીકે તેમણે લીધેલાં પગલાં તેમજ ગુજરાતમાં તેમણે બદલી નાંખેલા આર્થિક ચહેરાથી અભિભૂત છે. તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકાશે.

ભારત અને બ્રિટન વચ્ચે ખાસ ભાવનાત્મક બંધન

ભારતની ત્રણ વખત મુલાકાત લઈ ચૂકેલા કેમરને ભારત અને બ્રિટનના વિશિષ્ટ બંધન વિશે વિસ્તૃતપણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ખરેખર બ્રિટિશ ભારતીય ભાગીદારીમાં માનું છું અને તે એકવીસમી સદીના વિશિષ્ટ સંબંધોમાંનું એક બની રહેવાની ક્ષમતા ધરાવે છે. આંકડા જોઈએ તો, અન્ય કોઈ જી-૨૦ રાષ્ટ્રો કરતાં બ્રિટિશ ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ ત્યાં જાય છે. જો તમે બ્રિટનમાં ભારતીય રોકાણો વિશે વિચારો તો, ભારત બાકીના યુરોપના સંયુક્ત રોકાણ કરતાં પણ વધુ બ્રિટનમાં રોકાણ કરે છે. આથી જ સંપર્કો, લોકોથી લોકો વચ્ચેના સંપર્કો અને વેપાર આ બધું જ હાજર છે. અને હું માનું છું કે, રાજકીય ભાગીદારી મજબૂત બની રહેશે.

યુકે-ભારત સંબંધોમાં ભારતીય વિદ્યાર્થી મુદ્દો અગ્રસ્થાને

જોકે, ભારત-બ્રિટિશ સંબંધોમાં ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન આવતા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાનો મુદ્દો મોખરે છે. બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે દુશ્મનાવટ ચાલુ રહે તો ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં તેની ભારે અસર વર્તાશે તેમ માનવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં કરાયેલા અભ્યાસ અનુસાર બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે બીન ઈયુ વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારત બીજા ક્રમનો સ્રોત છે. હાયર એજ્યુકેશન સ્ટેટ્સ્ટિક્સ એજન્સી (Hesa)એ ૧૯૯૪-૯૫માં રેકોર્ડ્સ રાખવાની શરૂઆત કર્યા પછી યુકે યુનિવર્સિટીઓમાં બીન ઈયુ વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થતો રહ્યો છે. Hesa અનુસાર ૨૦૧૨-૧૩માં યુકે યુનિવર્સિટીઓમાં કુલ વિદ્યાર્થીઓ સામે  બીન ઈયુ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૩ ટકા હતું. ૨૦૧૦-૧૧માં  ફર્સ્ટ યરના ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩,૯૮૫ હતી તે ૨૦૧૨-૧૩માં માત્ર ૧૨,૨૮૦ હતી.

બ્રિટનમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો

બ્રિટિશ એશિયન એથોસમાં ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. બ્રિટનમાં જન્મેલા અને ઉછરેલા બ્રિટિશ ઈન્ડિયોની બીજી પેઢી તેમના બેવડાં સાંસ્કૃતિક વિશેષાધિકારથી સુમાહિતગાર છે અને ઈમિગ્રેશન વિરોધી વલણને અરાજકતાપૂર્ણ માને છે. તેમના ડીએનએમાં બહુસાંસ્કૃતિક વાદ નોંધપાત્ર ઘટક છે. કોણ બ્રિટિશ છે તે અંગેની તેમની માન્યતા બ્રિટનનું ભાવિ ઘડી શકે છે. આ ઈન્ટરવ્યુમાં કેમરને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુકેઆઈપી સહિત કોઈપણ સાથે સંભવિત અને શક્ય ગઠબંધનની વાત કરવી તેમના માટે યોગ્ય નહીં ગણાય. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી અગાઉ અમારે કોઈની સાથે કરાર કે સોદા થયા નથી. આ બાબત સંપૂર્ણ ખોટી છે. રાષ્ટ્રીય કન્ઝર્વેટીવ પાર્ટી તરીકે અમે ઊભા છીએ.’
તેમણે સમજાવ્યું હતું કે, એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર વાંચતાં તમામ લોકોને મારે પુનઃ ખાતરી આપવી છે કે, અમે ઈમિગ્રેશનનો મક્કમ અને ન્યાયી અંકુશ રાખવા ઈચ્છીએ છીએ અને અમે તે આપીશું. અને ઘણાં બ્રિટિશ એશિયનો મને કહે છે કે, આ જરૂરી છે અને યોગ્ય અંકુશોની નિષ્ફળતાથી અન્ય કોઈ જેટલા તેઓ પણ હતાશ થાય છે.

 નવેમ્બરમાં કેમરન ઓસ્ટ્રેલિયા જશે

વડા પ્રધાન જી-૨૦ શિખર પરિષદમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની નવેમ્બરમાં મુલાકાત લેશે. જ્યારે તેઓ ઈબોલા રોગચાળા સહિત અનેક મુદ્દાઓ વિશે સંબોધન કરશે. આ શિખર પરિષદમાં હવે અન્ય વ્યાપક વિષયોની સાથે આર્થિક મુદ્દાઓ વિશે પણ વિચારણા થશે.
નવી દિલ્હીમાં આ વર્ષની ૧૧થી ૧૫ નવેમ્બર દરમિયાન ભારત-ઈયુ નેતાઓનું અધિવેશન ભરાઈ રહ્યું છે. તેજ ગાળામાં જી-૨૦ શિખર પરિષદ છે. ગયા વર્ષે વડા પ્રધાન કેમરને ભારતમાં આ અધિવેશનમાં હાજરી આપી હતી. જોકે, તેઓ આ વર્ષે પણ ભારત જશે કે નહીં, તે બાબતે ચોક્કસ કહી શકતા નથી. તેમણે કહ્યું હતું કે, આ વખતે આમ થવું શક્ય લાગતું નથી. હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ઘણો આતુર છું. અને જી-૨૦ દરમિયાન હું તેમને મળીશ.  બંને વડા પ્રધાનો સૌ પ્રથમ વખત આમને સામને મળશે.

પોસ્ટ વર્ક સ્ટડી માર્ગ માટેની વ્યવસ્થા નહિ બદલાય

મુલાકાતનું સમાપન કરતા વડા પ્રધાન કેમરને જણાવ્યું હતું કે, ‘પોસ્ટ વર્ક સ્ટડી માર્ગ માટેની વ્યવસ્થા હું બદલી રહ્યો નથી. હું માનતો નથી કે ઓછા કૌશલ્યની નોકરીઓમાં વધુ લોકો આવે તેની અમારે જરૂર હોય. અમારે તો બ્રિટિશ લોકો અને અહીં હાજર જ હોય તે લોકોને તાલીમ આપવી જોઈશે. આ સારી અને સ્પષ્ટ ઓફર છે.’  તેમણે કહ્યું હતું કે ‘ચેવનિંગ સ્કોલરશિપની સંખ્યા વધારવાથી મને લાગે છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે તે રોમાંચક બની રહેશે. બ્રિટનમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. આ માટે અંગ્રેજીની લાયકાત અને બ્રિટિશ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવાની જ જરૂર હોય છે. ગ્રેજ્યુએટ જોબમાં કામ મેળવી શકાય ત્યાં સુધી રહેવા ઈચ્છતાં વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ કોઈ મર્યાદા નથી.’

એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુઃ વડા પ્રધાન ડેવિડ કેમરન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.