કેદારનાથ પીડિતો માટે મોરારિબાપુ દ્વારા રૂ. ૧૦ કરોડના દાનનું વિતરણ
મહુવાઃ જૂન-૨૦૧૩માં ઉત્તરાખંડમાં થયેલ પૂર પ્રકોપમાં જીવન અને સંપત્તિની ભારે તબાહી થઈ હતી. તેથી પૂ. મોરારિબાપુએ ગયા વર્ષે બેકર્સ ફિલ્ડ (કેલિફોર્નિયા) અમેરિકામાં પોતાની રામકથા દરમિયાન આ આપદાના પીડિતોને જરૂરી મદદ કરવા આહ્વાન કર્યું હતું.
પૂ. મોરારિબાપુ ૧૫ ઓક્ટોબરે કેદારનાથ ગયા હતા અને ત્યારે એકત્ર થયેલા દાનના વિતરણ માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રુદ્રપ્રયાગ પાસે કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં બાપુ દ્વારા રૂ. ૧૦ કરોડનો ચેક અર્પણ કરાયો હતો. ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાના પ્રભાવિત લોકો વચ્ચે આ રકમ વિતરણ કરવાનું આયોજન કરાયું હતું. તેમાંથી રૂ. એક કરોડ કેદારનાથ મંદિરના પુનઃનિર્માણ, નવીનીકરણ માટે કેદારનાથ મંદિર સમિતિને અપાશે. રૂ. ૧૦ કરોડની આ રકમ કર્ણાવતિ ક્લબ ફાઉન્ડેશન-અમદાવાદ ટ્રસ્ટના દ્વારા એકત્ર કરવામાં આવી હતી.
