સાંસદે વિધવા પુત્રવધૂનું કન્યાદાન કર્યુંઃ સંપત્તિમાં રૂ. ૧૦૦ કરોડનો હિસ્સો આપ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને નવો રાહ ચીંધ્યો છે. ઉપરાંત, તેમણે દીકરીસમાન પૂત્રવધુને કન્યાદાન તરીકે પોતાની સંપત્તિમાંથી રૂ. ૧૦૦ કરોડનો હિસ્સો પણ આપ્યો છે.
આ વિવાહની વાત જાણીએ તો ગત ૧૧ જાન્યુઆરીએ વિઠ્ઠલભાઈના પુત્ર કલ્પેશનું રાજકોટમાં અકાળે અવસાન થયું હતું. તેના પત્ની મનિષાબેનને બે સંતાનો પાંચ વર્ષનો પુત્ર રાહીલ અને ત્રણ વરસની પુત્રી જિયા છે. રાદડિયા પરિવાર ઉપર આ કારમો ઘા આવી પડયો હતો. વિઠ્ઠલભાઈ તેમના ધર્મપત્ની ચેતનાબેન, રાજ્ય સરકારમાં પ્રધાન પદ સંભાળતા પુત્ર જયેશભાઇ અને નાના પુત્ર લલિતે સ્વર્ગસ્થ કલ્પેશના પત્ની અને સંતાનોની નવી જિંદગી વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. અંતે વિઠ્ઠલભાઈના સુરતસ્થિત પુત્ર લલિતના મિત્ર અને સાથી કર્મચારી હાર્દિક સાથે કલ્પેશના વિધવા પત્ની મનિષાબેનના લગ્ન કરવાનું નકકી થયું. હાર્દિકના પિતા અમૃતભાઈ ચોવટિયા જામ કંડોરણા બાજુના જસાપર ગામના જ છે, અને શાકભાજી વેચીને સ્વમાનભેર જીવે છે. હાર્દિક લલિતનો જુનો મિત્ર અને પારિવારિક સંબંધ હોવાથી ચર્ચા કરી. બંને પક્ષ રાજી થતાં તાત્કાલિક લગ્ન લેવાયા હતા. રાદડિયા પરિવાર સ્વર્ગસ્થ કલ્પેશના નામે જામ કંડોરણા નજીક કરોડો રૂપિયાની જમીન-મિલકત ધરાવતો હતો તે પણ મનિષાને કન્યાદાનમાં આપી છે.
આમ, સમાજને પ્રેરણા આપતો દાખલો બેસાડવા તથા દીકરી સમાન પુત્રવધૂને સાસરે મોકલી એક પિતા તરીકેનું ઋણ વિઠ્ઠલભાઇ ચુકવ્યું હતું.
