ઈંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં શ્રીલંકાનો ૮ વિકેટે વિજય
કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફરી વખત શ્રીલંકન સ્પિનરો સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. ૪૫-૪૫ ઓવરની મેચમાં ઈંગ્લેન્ડ માત્ર ૧૮૫ રનમાં જ ખખડી ગયું હતું. જવાબમાં શ્રીલંકાએ માત્ર ૩૪.૨ ઓવરમાં જ બે વિકેટે ૧૮૬ રન કરતાં મેચ જીતી લીધી હતી. આ સાથે શ્રીલંકાએ શ્રેણીમાં ૨-૦થી સરસાઇ મેળવી લીધી છે.
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. વરસાદના વિઘ્નથી મેચ ૪૫-૪૫ ઓવરની રમાડાઇ હતી. રવિ બોપારાએ મિડલ ઓર્ડરમાં ધીરજપૂર્વક બેટીંગ કરતાં ૬૯ બોલમાં ૫૧ રન કર્યા હતા. શ્રીલંકા તરફથી અજંથા મેન્ડિસે ત્રણ અને દિલશાન તથા પ્રસાદે બે-બે વિકેટ ઝડપી હતી.
