કચ્છના ૧૦૦ ગામો પર દુષ્કાળના ઓળાં
ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર અને પાટણના સરહદી ગામોમાં અછત કે અર્ધઅછત જાહેર થવા શક્યતા છે.
માર્ચ-૨૦૧૩ બાદ સરકારે ત્રણ તબક્કે કચ્છમાં કુલ ૧૨૧ ગામોને અછત, અર્ધ-અછત હેઠળ આવરી લીધા હતા. હમણાં પૂર્ણ થયેલા ચોમાસામાં સારા વરસાદ પછી સપ્ટેમ્બરના અંતમાં અછત અને અર્ધ-અછતના ધોરણો ઉઠાવી પણ લીધા હતા. અત્યારે મહેસૂલ વિભાગ દ્વારા પાક, પાણી, પશુધન અને તેને આધારિત ગ્રામ્ય અર્થતંત્રને સાંકળી લેતી અાનાવારી ચાલી રહી છે. ડિસેમ્બરના અંત સુધીમાં સર્વેક્ષણ પૂરું થશે. તેના રિપોર્ટના આધારે કચ્છ જિલ્લાના ગામોમાં અર્ધ-અછત, પૂર્ણ અછત જાહેર કરીને રાહત-બચાવના કામો શરૂ કરાશે. રાપર, અબડાસા અને લખપત તેમ જ ભૂજના કેટલાક વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિના પગલે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
