કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું નિધન
મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
બનારસ ઘરાનાના મહાન નૃત્યાંગના તથા અભિનેત્રી સિતારા દેવીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ પછી પદ્મભૂષણ આપવાની જાહેરાત થઇ ત્યારે તેનો અસ્વીકાર કરતા તેમણે કહ્યું હતું કે મને તો ભારત-રત્ન મળવો જોઇએ. કથ્થક નૃત્યશૈલીને દેશ-વિદેશમાં પ્રખ્યાત કરવામાં મહત્ત્વનું યોગદાન આપી ચૂકેલા સિતારા દેવીએ ‘મુગલ-એ-આઝમ’ના મહાન સર્જક કે. આસિફ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્નસંબંધ અલ્પજીવી નીવડયો હતો. ત્યારબાદ તેમણે પ્રતાપ બારોટ સાથે લગ્ન કર્યા હતા.
