કોઠારિયા, વાવડી ગામ રાજકોટ પાલિકામાં ભળશેઃ
કોઠારિયા અને વાવડી વિસ્તારની અંદાજે એકાદ લાખની વસતી હવે રાજકોટમાં ભળશે. આવતા વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણી આ નવા સીમાંકન મુજબ જ થાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરનું વિસ્તરણ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. શહેરની નજીક આવેલા કોઠારિયા અને વાવડી ગામોને રાજકોટ શહેરમાં ભેળવવાનો એક મહત્ત્વનો ઠરાવ મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં કરાયો હતો.
પ્રભાસપાટણમાં જૂથ અથડામણઃ યાત્રાધામ સોમનાથ સાથે જોડાયેલા પ્રભાસપાટણમાં ૨૫ નવેમ્બરે રિક્ષાચાલકો વચ્ચે મુસાફર બેસાડવા બાબતે બોલાચાલી થયા બાદ બે કોમનાં ટોળા માર્ગો ઉપર ઉતરી આવતા અથડામણ થઇ હતી. બેફામ પથ્થરમારા તથા સોડાબોટલનાં છુટ્ટા ઘા થતાં આ વિસ્તારમાં તંગદિલી પ્રસરી હતી. તોફાની ટોળાએ ૧૦થી વધુ દુકાનો, કેબિનો, વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. હિંસામાં ત્રણ પોલીસમેન સહિત ૧૩ને ઇજા થઇ છે. હિંસાથી બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી. તોફાનીઓને વિખેરવા પોલીસે ટીયરગેસનાં નવ સેલ છોડવા પડયા હતા. પોલીસે ૪૦૦ લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધીને પ૦ની અટકાયત કરી હતી.
