નિરક્ષર ઇશાબહેન મહિને રૂ. ૩.૫ લાખ કમાય છે!
પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય નિરક્ષરો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
બાવન વર્ષીય ઈશાબહેન પતિ અને ત્રણ પુત્ર સાથે રહે છે. ઇશાબહેનના શબ્દોમાં જ તેમણે મેળવેલી સમૃદ્ધિની ગાથા સાંભળીએ તો, શરૂઆતમાં ૧૫ પશુનું દૂધ ડેરીમાં ભરાવતાં હતાં. આમાં ફાયદો જણાતાં ધીમે-ધીમે વધુ પશુ ખરીદી પશુવાડો બનાવ્યો હતો. અત્યારે આ પશુવાડામાં ૬૨ ગાય અને ૧૭ ભેંસ છે. આ પશુઓનું દૂધ મંડળીમાં ભરાવી દર માસે તેઓ આશરે સાડા ત્રણ લાખ રૂપિયા અને વાર્ષિક ૪૪ લાખ રૂપિયાની આવક મેળવે છે. આ ઉપરાંત તેઓ ખાતરમાંથી પણ વર્ષે બે લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમને આ સફળતા માટે ઘણી વાર સન્માનિત કરાયાં છે. બનાસ ડેરીના બનાસ લક્ષ્મી એવોર્ડ માટે તેઓ ૨૦૦૬થી ૨૦૧૪ દરમિયાન પ્રથમ, બીજા કે ત્રીજા સ્થાને રહ્યાં છે. ૨૦૦૮ અને ૨૦૧૦માં તેઓ તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમ જ ૨૦૧૦માં ભૂતપૂર્વ રાજ્યપાલ ડો. કમલાના હસ્તે પણ સન્માન મેળવી ચૂક્યા છે.
