ભારતીય યુદ્ધશહીદોનું સ્મારક

લંડનઃ જનરલ લોર્ડ ડન્નાટ અને અન્યોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના સૈનિકોના પ્રદાનને યાદ રાખવા તમામ બ્રિટિશ નાગરિકોને હાકલ કરી છે. બ્રાઈટનમાં તો ભારતીય સૈનિકોની શહાદત-બલિદાનને ચોક્કસ યાદ રખાયા છે. ૧૯૧૪-૧૫માં વેસ્ટર્ન ફ્રન્ટ પર ઘવાયેલાં અને બીમાર આશરે ૧૨,૦૦૦ ભારતીય સૈનિકોને ત્રણ હોસ્પિટલોમાં સારવાર અપાઈ હતી.
ઈસ્ટ સસેક્સના બ્રાઈટનના રહેવાસી ટોમ ડોનોવાનના જણાવ્યા અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ તમામ ભારતીયોની યાદમાં પેટ્ચમસ્થિત છત્રી યુદ્ધ સ્મારક ખાતે દર જૂન મહિનામાં પ્રાર્થનાસભા યોજવામાં આવે છે. ખાસ કરીને આ સ્મારક બ્રાઈટન હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા ૫૩ હિન્દુ અને શીખ સૈનિકો સાથે સંકળાયેલું છે. તેમના ૨૧ સાથી મુસ્લિમ શહીદોને વોકિંગમાં શાહ જેહાન મસ્જિદમાં દફનાવાયા હતા.
કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશને મોડે મોડેથી પણ ૨૦૧૦માં છત્રીની નજીક ક્રીમેશન મેમોરિયલનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્મારકમાં અહીં અંતિમ સંસ્કાર કરાયેલા શહીદોના નામ અને તેમની રેજિમેન્ટ્સની યાદી મૂકવામાં આવી છે.
