અંતે દિલ્હી વિધાનસભા ભંગ થઇઃ

દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી (આપ)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપે  સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ અને આપે પણ ફરીથી ચૂંટણી યોજવાની માંગણી કરી હતી. હવે ફેબ્રુઆરી-૨૦૧૫માં ચૂંટણી યોજાવાની શક્યતા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી વિધાનસભા ભંગ કરવાની ભલામણને મંગળવારે મંજૂરી આપી છે. આ મુદ્દે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠક પછી તરત જ ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે. એટલે કે કોઈને પણ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર નહીં કરે.

• જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ટાણે રાજ્યના મુખ્ય વિપક્ષ પીડીપીએ સંકેત આપ્યો છે કે તે ચૂંટણી બાદ ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. પક્ષ પ્રમુખ મુફ્તિ મોહમ્મદ સઈદે કહ્યું છે કે તે અગાઉ પણ ભાજપના નેતાઓ સાથે કામ કરી

ચૂક્યા છે અને આગામી સમયમાં પણ સાથે કામ કરી શકે છે.

• મહારાષ્ટ્ર-હરિયાણામાં એકલા ચૂંટણી લડનાર ભાજપ હવે ઝારખંડમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) સાથે મળીને ચૂંટણી લડશે. રાજ્યની ૮૧માંથી ૮ સીટ પર એજેએસયુ અને ૭૩ સીટ પર ભાજપ પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

• કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર અંગે આંતરકલહ વધી રહ્યો છે. એક સમૂહ રાહુલ-સોનિયા ગાંધીના રાજકીય દરજ્જાને જાળવી રાખવાના મતમાં છે તો બીજો સમૂહ ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસનું ભવિષ્ય જોઈ રહ્યો છે. ગાંધી પરિવારના સૌથી નિકટના ગણાતા  મહામંત્રી દિગ્વિજયસિંહે પક્ષનું ભવિષ્ય સુધારવા તેનું સુકાન રાહુલના હાથમાં સોંપવાની વકીલાત કરી છે.

• એનડીએ સરકાર દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતી મોટાપાયે ઊજવવાની તૈયારીમાં હોવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સંકેત આપ્યો છે. સમગ્ર દેશમાં ૧૪મીથી ૧૯ નવેમ્બરમાં કાર્યક્રમો યોજાશે. સ્કૂલોમાં વર્ષ દરમિયાન બાળ સ્વચ્છતા મિશન ચલાવાશે.

• પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું જાપાન દ્વારા સૌથી મોટું નાગરિક સન્માન થશે. તેમણે બંન્ને દેશોના સબંધોને નવી ઉંચાઈએ પહોંચાડવા બદલ એવોર્ડ એનાયત થશે. ડો. સિંહને જાપાનના સૌથી મોટા એવોર્ડ ધ ગ્રેંડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ પોઆલોનિયા ફ્લાઅર્સથી સન્માનિત કરાશે. ૩૫ વર્ષથી બંન્ને દેશો વચ્ચે વધેલી મિત્રતા અને આંતરિક સહયોગમાં તેમના પ્રયત્નો માટે આ સમ્માન અપાશે.

• મહારાષ્ટ્ર-હરિયાણામાં ધારાસભાની ચૂંટણીમાં હાર બાદ હવે તમિલનાડુ અને ઝારખંડમાં પણ કોંગ્રેસની પીછેહટ થઇ છે. ઝારખંડમાં JMM સાથેનું ગઠબંધન તૂટયું છે, તો તમિલનાડુમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન જી. કે. વાસને કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેમના પિતા જી. કે. મૂપનાર દ્વારા ૧૯૯૬માં સ્થાપિત તમિલ માનિલા કોંગ્રેસ (ટીએમસી)ને પુનર્જીવિત કરી છે.

• ભારત-પાકિસ્તાન વચ્ચેની વાઘા સરહદે ૨ નવેમ્બરે ફ્લેગ લોઅરિંગ સેરેમની સમાપ્ત થયા બાદ પાકિસ્તાન તરફના પાર્કિંગ વિસ્તારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વાઘા સરહદ નજીક થયેલા આ આત્મઘાતી વિસ્ફોટમાં ચાર પાકિસ્તાની રેન્જર, સ્ત્રીઓ અને બાળકો સહિત ઓછામાં ઓછાં ૫૯ લોકોનાં મોત થયાં હતાં અને ૨૦૦થી વધુને ગંભીર ઈજા પહોંચી હતી. આ હુમલાની જવાબદારી ત્રણ આતંકવાદી સંગઠનોઅે સ્વીકારી છે.

• ભોપાલ ગેસ દુર્ઘટનાના મુખ્ય આરોપી વોરન એન્ડરસનના મૃત્યુ અંગે આ ઘટનાના પીડિતો માટે કાર્યરત સંસ્થાઓએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું છે કે, એન્ડરસનને ભારત લાવવાની સતત ઉદાસીનતા અને અમેરિકન સરકારે તેમને આપેલા રક્ષણને પગલે તેઓ સજા પામ્યા વિના જ મૃત્યુ પામ્યા છે. ૧૯૮૪માં ભોપાલ ખાતે ગેસ લીકેજની ગોઝારી ઘટનામાં ૩,૭૮૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકોને ઝેરી ગેસની અસર વર્ષો સુધી ભોગવવી પડી હતી. આ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી એવા ૯૨ વર્ષીય વોરન એન્ડરસનનું મોત ૨૯ સપ્ટેમ્બરે ફ્લોરીડામાં થયું હતું પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમના મૃત્યુને આટલા દિવસો વીત્યા છતાં લોકો સુધી આ વાત પહોચી નહોતી.

• નરેન્દ્ર મોદી સરકાર ૧૯૮૪નાં રમખાણપીડિતોનાં પરિજનોને રૂ. પાંચ-પાંચ લાખનું વળતર આપશે. આ નાણાં પીડિતોને અત્યાર સુધી સરકાર અને અન્ય એજન્સીઓ તરફથી મળેલા નાણાં કરતાં અલગ હશે. ૩૩૨૫ પીડિતોમાંથી ૨૭૩૩ના મૃત્યુ દિલ્હીમાં થયાં હતાં. જ્યારે બાકી લોકો ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં માર્યા ગયા હતા. ટૂંક સમયમાં જ આ ચૂકવણી શરૂ થશે.

• સરદાર પટેલની ૧૪૦મી જન્મજયંતી નિમિક્કે હોંગકોંગમાં સ્થાયી ભારતીયો-ગુજરાતીઓએ ૨ નવેમ્બરે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું. આ અંગે હીરાઉદ્યોગ અગ્રણી વિજય શેઠે જણાવ્યું હતું કે, આમાં ૨૦૦થી વધુ લોકો જોડાયા હતા. ગુજરાતીઓ તથા હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો સપરિવાર તેમાં જોડાયા હતા.

• અમેરિકામાં બનાવટી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ૫.૮ મિલિયન ડોલરની ઉચાપત કરવા બદલ એફબીઆઇ એ બે ભારતીયોની ધરપકડ કરી હતી. અલ્પેશ કુમાર પટેલ અને વિજય કુમાર પટેલે સપ્ટેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૪ દરમિયાન બનાવટી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને લાખો ડોલરની ઉાચાપત કરી હતી, એમ પોલીસે ક્હયું હતું.

• આફ્રિકન દેશ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ માઇકલ સાટાનું ગત સપ્તાહે લંડનમાં નિધન થયું હતું. તેમણે બાળપણ લંડનના રેલવે સ્ટેશનો ઉપર સફાઈ કરીને વિતાવ્યું હતું. વેધક નિવેદનના કારણે ‘કિંગ કોબરા’ તરીકે ઓળખવામાં આવતા હતા.

• ટેક્નોલોજી અને ગેજેટ્સ તથા અન્ય બાબતો માટે જાણીતી કંપની એપલના સીઈઓ ટીમ કૂકે જાહેરમાં એક ખુલાસો કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. તેમણે માનવઅધિકાર, સમાનતાના મુદ્દે લખેલા એક લેખમાં સ્વીકાર્યું હતું કે તેઓ સમલૈંગિક(ગે) છે.

અંતે દિલ્હી વિધાનસભા ભંગ થઇઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.