સરદાર પટેલ વકીલાત કરતા હતા તે કોર્ટની સ્થિતિ દયનીય
વડોદરા: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની એકતા દિવસ તરીકે ઉજવણી થઇ. આણંદ જિલ્લાના બોરસદની જૂની કોર્ટ જ્યાં સરદાર પટેલે વકીલાતની શરૂઆત કરીને ઘણા ફોજદારી કેસો અંગ્રેજો સામે જીત્યા હતા ત્યારે ઐતિહાસિક ધરોહર ગણાતી આ કોર્ટ જાળવણીના અભાવે જર્જરિત થઈ છે. તેમ જ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી આ જૂનું કોર્ટ સંકુલ ઉજ્જડ થઈ ગયું છે અને આ સ્થળ દારૂ-જુગાર માટે સલામત સ્થળ બની ગયું છે.
સરદાર પટેલ જ્યારે બોરસદમાં વકીલાત કરતા હતા તે સ્થળે તેમની ધારદાર દલીલોથી અંગ્રેજ ન્યાયાધીશ પણ મુંઝાઈ જતા હતા. સરદાર પટેલથી છુટકારો મેળવવા બોરસદની કોર્ટને બદલીને ગોધરા ખસેડવામાં આવી હતી. આ ઘટના સામે સરદાર પટેલે ગોધરા પહોંચીને લડત ચલાવી હતી આખરે બોરસદમાં પુન: કોર્ટ શરૂ કરાઈ હતી. આ સ્થળની ગરિમા પુનઃ સ્થપાય તેવી માગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે.
