કેન્યાના પ્રમુખ કેન્યાટાનો હંગામી પદત્યાગ
ન્યૂ યોર્કઃ માનવતાવિરોધી ગંભીર અપરાધોની સુનાવણી લંબાવવામાં નિષ્ફળતાના પગલે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ હંગામી રીતે કેન્યાનું પ્રમુખપદ છોડી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સામનો કરવાની જાહેરાત કરી છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રાથમિક સુનાવણી દરમિયાન કેન્યાટાએ તમામ આરોપ નકાર્યા હતા. કેન્યામાં ૨૦૦૭ની ચૂંટણી પછી ૧૩૦૦ લોકોને મોતને ઘાટ ઉતારનારા હિંસક રમખાણોમાં કેન્યાટાની કથિત માનવતાવિરોધી ભૂમિકા સંદર્ભે પાંચ આરોપો લગાવાયા છે. તેમની સૂચના મુજબ અપરાધી ગેન્ગ્સ દ્વારા મોટા પાયે બળાત્કાર અને હત્યાઓ થઈ હોવાનું કહેવાય છે. ચર્ચમાં આશ્રય લેનારા અનેક કેન્યનોને સળગાવાયાં હતાં અને છ લાખથી વધુ લોકો ઘરવિહોણાં બન્યાં હતાં. કેન્યાટા અને કિબાકીની વંશીય કિકુયુ જાતિના જૂથોએ અન્ય સમુદાયો પર ભારે હિંસક હુમલાઓ કર્યાં હતાં.
