જયલલિતાની જામીન અરજી ફગાવાઇ
બેંગલોર: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈ કોર્ટે તમિલનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, જયલલિતાને જામીન મળી ગયા છે. જોકે, મંગળવારે કોર્ટે ચુકાદામાં છેલ્લા પેરેગ્રાફમાં તેમને જામીન ન મળવાનું જણાવ્યું છે. જયાને જામીન અપાયાના ખોટા સમાચાર અગાઉ પ્રસારિત થતાં તેમના ચાહકોએ જોરદાર ઉત્સવ મનાવ્યો હતો. હાઈ કોર્ટે જામીન અરજી ફગાવતાં અમ્મા હવે સુપ્રીમમાં જશે. જયલલિતા તરફથી જાણીતા વકીલ રામ જેઠમલાણીએ જોરદાર દલીલો કરી હતી.
અમ્માના સમર્થકોએ રસ્તાઓ પર જ ધરણાં કરવાનું શરૂ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કર્ણાટક ઉપરાંત તમિલનાડુમાં પણ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બેંગ્લોરની ખાસ અદાલતે જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના વર્ષો જૂના કેસમાં ચાર વર્ષની જેલની સજા સાથે રૂ. સો કરોડનો જંગી દંડ પણ ફટકાર્યો હતો.
