ત્રણ ગામોમાં નથી ઉજવાતી નવરાત્રિ ...
વિજાપુરઃ નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યો છે. પરંતુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં અંદાજે એક સદીથી નવરાત્રિની ઉજવણી થતી નથી. રૂઢીઓ અને પરંપરામાં માનતા આ ગામોમાં દાયકાઓ પછી આજે પણ નવરાત્રિની કોઈ પણ પ્રકારની ઉજવણી થતી નથી. એટલું જ નહીં, ગામમાં માંડવી કે સ્થાપના કે માતાજીની આરતી પણ કરવામાં આવતી ન હોવાથી ગામમાં સોંપો પડી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે.
નવરાત્રિની ઉજવણીવિહોણા આ અનોખા ગામ અભરામપુરા, મહાદેવપુરા (ડાભલા) અને આનંદપુરા (કુકરવાડા) છે. જે જિલ્લા મથક મહેસાણાથી ૪૦ કિ.મી.ના અંતેર છે. નવાઈની વાત તો એ છે કે નવરાત્રિના નવ દિવસ રાસ-ગરબાથી અળગા રહેતા આ ગામના લોકો દિવાળી પહેલાના નવ દિવસને નવરાત્રિ માનીને ધામધૂમથી ઉજવણી કરે છે. પેઢીઓ બદલાઈ પરંતુ દિવાળીએ નવરાત્રિ ઉજવવાની ૧૦૦ વર્ષ જૂની પરંપરા બદલાઈ નથી. નવી પેઢીને નવરાત્રિએ રમવાનું મન થતું હોવા છતાં જૂની પરંપરા તોડવા ઈચ્છતી નથી.
