પ્રાંતિજમાં બ્રિટિશરની હત્યા કેસમાં ફેર જુબાનીની અરજી ફગાવાઈઃ
વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ. પી. શાહે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ-સરકારી વકીલની હાજરીમાં લેવામાં આવી હતી, જેમાં કોઈને વાંધો ન હોઈ શકે. અગાઉ બ્રિટિશ નાગરિકની હત્યાના કેસની સુનાવણી દરમિયાન કેસના મુખ્ય ફરિયાદ ઇમરાન દાઉદની જુબાની વીડિયો કોન્ફરન્સથી લેવામાં આવી હતી.
ખેરાળુ કોલેજમાં ત્રિ-દિવસીય નારીકથાઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના ભારતીય મહિલા વિશ્વકોશનાં પ્રણેતા અને સરદાર પટેલ સંશોધન સંસ્થા- સેરલીપના અધ્યાપિકા ડો. ટીના દોશી ખેરાળુની કોલેજમાં નારી કથા કરશે. કોલેજના ઉપક્રમે ૯થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં નારીકથા યોજાશે, એવું ખેરાળુ આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્ય પ્રિ. રણછોડભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્રિ-દિવસીય નારીકથાના ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે ખેરાળુ તાલુકા ઉત્તર વિભાગ મંડળના પ્રમુખ અને પૂર્વ ન્યાયાધીશ મોહનભાઇ દેસાઇ અધ્યક્ષસ્થાન સંભાળશે.
બાયડ નગરપાલિકામાંથી ગ્રામ પંચાયત થશે?ઃ રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા વિધેયક રજૂ કરતાં ૨૫,૦૦૦થી ઓછી વસ્તી ધરાવતી પાલિકાઓ ફરીથી ગ્રામ પંચાયત બનશે. જેથી વર્ષ ૨૦૦૬માં અસ્તિત્ત્વમાં આવેલી બાયડ નગરપાલિકાનો દરજ્જો છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. સરકારી રેકોર્ડ મુજબ બાયડ નગરપાલિકાની માનવ વસ્તી ૧૭,૮૮૬ હોવાનું બહાર આવ્યું છે. આથી જિલ્લા કક્ષાએ ૭૨૧૩ વસ્તી કેવી રીતે વધી ગઈ તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ૨૦૦૬માં ગ્રામ પંચાયતને સરકારે પાલિકાનો દરજ્જો આપતા બાયડની પ્રજામાં ખુશી વ્યાપી હતી. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં લોકો નગરપાલિકાના વહીવટથી ત્રાસી ગયા છે અને આના કરતાં ગ્રામ પંચાયતનો વહીવટ સારો હતો તેવું કહે છે.
