વિદેશીઓનું ભારતમાં અઢળક રોકાણઃ
અમેરિકાના અગ્રણી આર્થિક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે વિદેશી મૂડી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ૧૬.૫ બિલિયન ડોલરનું અઠળક રોકાણ કર્યું છે. સમગ્ર વિશ્વના રોકાણકારો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સંસ્થા દ્વારા કોઇપણ વિકાસશીલ દેશમાં કરાયેલું આ સૌથી વધુ રોકાણ છે. ૨૦૧૪માં એસ એન્ડ પી બીએસઇ સેન્સેક્સ ૩૫ ટકા વધ્યો છે. આ વર્ષમાં સેન્સેક્સ ૫૪ વાર વિક્રમજનક સપાટી પર બંધ આવ્યો છે. રોકાણકારોને આશા છે કે નરેન્દ્ર મોદી ભારતીય અર્થતંત્રને વેગ આપે તેવી નીતિઓ અપનાવશે. જેના કારણે સિમેન્ટ ઉત્પાદક કંપનીઓથી માંડીને બેંકિંગ ક્ષેત્રના નફામાં ધરખમ વધારો થશે.
CBIના નવા વડા તરીકે અનિલ સિંહાની પસંદગીઃ દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા- સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના વડા તરીકે અનિલ સિંહાની નિમણૂક થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી હાઇ પ્રોફાઈલ બેઠકમાં સર્વસંમતિથી અનિલ સિંહાની પસંદગી થઇ હતી. આ બેઠકમાં મુખ્ય ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુ અને સૌથી મોટા વિપક્ષ તરીકે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. અનિલ સિંહા ૧૯૭૯ની બિહાર કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ અગાઉ તેઓ સીવીસીમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આવતા વર્ષથી નાથુલા થઈને કૈલાસ માનસરોવર જવાશેઃ તિબેટમાં રહેલા કૈલાશ માનસરોવર જવા માટે યાત્રાળુઓ આવતા વર્ષથી નાથુલા થઈને કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ શકશે, તેમ રાજ્યના પ્રવાસન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે અને સિક્કીમ સરકાર તેમ જ કેન્દ્ર સરકાર જૂન-૨૦૧૫માં કૈલાસ માનસરોવરનો નાથુલા ખાતેનો રૂટને કારણે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે અને યાત્રાળુઓને મુસાફરીમાં પડતી મુશ્કેલીમાં ઘટાડો થશે.
