રાધનપુર પાલિકામાં ભાજપનું શાસનઃ
રાધનપુર પાલિકાને ભાજપે આંચકી લેતાં પાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. નગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૨૭માંથી ૨૧ બેઠક મેળવનારા કોંગ્રેસના ૧૯ સભ્યો બે તબક્કે ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપનું સંખ્યાબળ ૨૫ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે સભ્ય જ રહ્યા છે.લોકસભામાં કારમી પછડાટ પામેલા કોંગ્રેસ પક્ષ પાસે એકમાત્ર રાધનપુર નગરપાલિકા હતી.
• સ્વાતંત્ર્ય સેનાની ડો. વલ્લભજી વાઘેલાનું નિધનઃ પ્રસિદ્ધ દાંડી યાત્રાના આગેવાન અને કચ્છના ગાંધીવાદી નેતા એવા સ્વાતંત્ર્ય સેનાની ડો. વલ્લભજી ભીમજી વાઘેલા (ઉ. ૯૨)નું તાજેતરમાં અવસાન થયું છે. કચ્છી ગુર્જર ક્ષત્રિય મૂળ રેહાના અને બાદમાં ભૂજમાં સ્થાઇ થયેલા સ્વ. વલ્લભભાઇ યુવાની અંતિમશ્વાસ સુધી લોકસેવક બની રહ્યા હતા. ૧૯૯૮માં ભારતમાંથી ચૂંટાયેલા ૮૦ સાથીઓ સાથેની દાંડી સ્મરણ યાત્રાના લીડર તરીકે સરકાર દ્વારા તેમની નિયુકિત કરાઇ હતી.
• કાશ્મીરમાં પૂર પ્રકોપમાં અરવલ્લીનો જવાન શહીદઃ કાશ્મીરમાં ભારે વરસાદથી ખાનાખરાબી થઇ છે. કુદરતી તોફાનમાં અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયાના અમરાભાઇ નાનજીભાઇ ડામોરનો પુત્ર મુકેશ બરફની હીમશિલા નીચે દબાઈ જતાં શહીદ થયો હતો. મુકેશ દોઢ વર્ષ અગાઉ આર્મીમાં જોડાયો હતો અને લદ્દાખ સરહદે તૈનાત હતો.
