ગોંડલમાં ૧૦૮ વર્ષનાં વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે નીકળી
રાજકોટ: જિલ્લાના ગોંડલમાં મૃત્યુ પામેલા ૧૦૮ વર્ષના વૃદ્ધાની તેમના પરિજનોએ ધામધૂમથી સ્મશાનયાત્રા યોજી હતી. પાંચ પેઢીને નજરે જોનારા દાદીમાં પાછળ રોવાને બદલે વાજતે ગાજતે અંતિમયાત્રા નિકળી હતી. ગોંડલ શહેરનાં ભગવતપરા-૯માં રહેતા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના જડાવબેન વશરામભાઇ પરમારનું ગત સપ્તાહે ૧૦૮ વર્ષની ઉંમરે નિધન થયું હતુ.
વૃદ્ધાનું નિધન થતાં પરિવારમાં ગમગીની તો હતી જ, પરંતુ જડાવબહેને પરિવારની પાંચ-પાંચ પેઢીની લીલીવાડી જોઇ હોવાથી તેમના પુત્રો અને પરિવારજનોએ માતાને અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પવા માટે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવાનો નિર્ણય કર્યો હતો.
સદ્ગતની અંતિમયાત્રામાં અબીલ-ગુલાલની છોળો ઉડાડી ઢોલ-મંજિરાની રમઝટ વચ્ચે ધૂન-ભજન સાથે સ્મશાન પહોંચી હતી. એટલું જ નહીં પાડોશીઓએ ઘરનાં આંગણે સાથિયાની રંગોળી કરી જડાવબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
