જંકફૂડ છોડવું છે? વધુ કસરત કરો
જો તમારે જંકફૂડ ખાવાની લાલચથી બચવું હોય તો વધુ કસરત કરવી જોઇએ. નિષ્ણાતો કહે છે કે સેલ્ફ કન્ટ્રોલ માટે મન મક્કમ હોવું જરૂરી છે, પછી ભલેને તે જંકફૂડ લેવા જેવી બાબત જ કેમ ન હોય. અને મનને મક્કમ રાખવા દૈનિક કસરત જરૂરી છે. સાથોસાથ આલ્કોહોલના સેવનથી પણ દૂર રહો. આ બધી આદતને કારણે મનની મક્કમતા વધારશે. આ દાવો એક નવા સંશોધનને આધારે થયો છે. કેનેડિયન સંશોધકોનો દાવો છે કે માનસિક નબળાઇ કે આળસ જ માનવીને તે ન ઇચ્છે તેવા કામ કરવા માટે પ્રેરે છે. જો આ સ્થિતિમાં જંકફૂડથી કંટાળેલી વ્યક્તિ તેને છોડવા માગતી હોય તો પણ નથી છોડી શકતી કેમ કે તે માનસિક નબળાઇ અને આળસ ધરાવે છે. આમ તમારા ખોરાકને યોગ્ય અને સમતોલ રાખવામાં મનની મક્કમતા મોટો ફાળો આપે છે, અને મનને મક્કમ બનાવવા કસરત સૌથી સારો ઉપાય છે. આ ઉપરાંત રાત્રે પૂરતી ઉંઘ લેવાથી પણ માનસિક સંતુલન જળવાય છે. પ્રોફેસર પીટર હાલ કહે છે કે આદતો કે કુટેવોને તોડવામાં નિયમિત એક્સરસાઇઝ, આલ્કોહોલનો ત્યાગ, સમયસર અને પૂરતી ઉંઘ તમને સૌથી વધુ મદદ કરી શકે છે.
