ભારતીય જ્યોતિષી ટ્રિપલ મર્ડરમાં સંડોવણી પછી બ્રિટનમાં છુપાયા

લંડનઃ ભારતના સૌથી ધનિક જ્યોતિષીમાંના એક ગોવિન્દુ ટ્રિપલ મર્ડરમાં શંકાસ્પદ સંડોવણીના મુદ્દે હાલ બ્રિટનમાં નાસતા-ફરતા હોવાનું ભારતીય પોલીસ માને છે. ભારતના આંધ્ર પ્રદેશના ૫૪ વર્ષીય મલ્ટિ-મિલિયોનેર જ્યોતિષી બુથામ ગોવિન્દુએ પોતાના ભાઈની હત્યામાં પ્રતિસ્પર્ધી ગંધામ પરિવારનો હાથ હોવાનું માની ગંધામ નાગેશ્વરરાવ, ગંધામ મારાય્યા સહિત ત્રણ સભ્યોની હત્યાનો કોન્ટ્રેક્ટ આપ્યો હોવાનું ડીટેક્ટિવ્સ જણાવે છે. હત્યારાઓએ ૨૪ સપ્ટેમ્બરે વિજયવાડા હાઈવે પર આંતરીને તેમની હત્યા કરી હતી. હત્યા કરાયેલી એક વ્યક્તિ ગંધામ પાગિડી મારાય્યાએ ગોવિન્દુની પુત્રી સાથે નાસી જઈને લગ્ન કર્યા હતા.

પિનાકાદિમી ગામના અને લંડનમાં હંગામી ઓફિસ ધરાવતા ગોવિન્દુએ ઓગસ્ટમાં ભારત છોડી બ્રિટનનો પ્રવાસ કરતા અગાઉ કોન્ટ્રાક્ટ કિલર્સની ગેન્ગને ‘સુપારી’ તરીકે ૧૦૦,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા હોવાનું પોલીસ ડીટેક્ટિવ્સ માને છે. તેઓ લંડનસ્થિત ધનિક ભારતીય ક્લાયન્ટ્સને જ્યોતિષ અર્થઘટનો ઓફર કરવા નિયમિત બ્રિટન આવતા હતા. યુએસમાં પણ તેમના બિઝનેસ સંપર્કો હતા.
વિજયવાડાના પોલીસ કમિશનર વેંકટેશ્વર રાવે સરસ વાત કરી હતી કે,‘ ભારતમાં મોટા બાગના લોકો અંધશ્રદ્ધાળુ હોય છે અને ગોડમેન અને જ્યોતિષીઓના વેશમાં ફરતાં લોકો પાસેથી મુશ્કેલીઓનું નિવારણ માગે છે. આવા જાતે બની બેઠેલાં જ્યોતિષીઓથી ઠગાતાં લોકો માટે આ ઘટના આંખો ખોલનારી બનવી જોઈએ કારણ કે મૃતકો જ્યોતિષીઓ હોવાં છતાં તેમને પોતાના જ માથે ભમતાં મોતની ખબર પડી ન હતી.  ’
બુથામ અને ગંધામ પરિવારો પ્રમાણમાં ગરીબ હતા, પરંતુ તેમના જ્યોતિષ અર્થઘટનો માટે ચાહકવર્ગ વધવા સાથે તેઓ ધનવાન બન્યા અને સ્થાનિક રાજકારણમાં તેમની વગ પણ વધી હતી.  બુથામ ગોવિન્દુના નાના ભાઈ દુર્ગારાવની હત્યા માટે નાગેશ્વરરાવ અને મારાય્યાની ધરપકડ થઈ હતી. જોકે, તેમને જામીન મળ્યા હતા.
પોલીસ કમિશનર રાવના જણાવ્યા અનુસાર ગોવિન્દુએ સ્થાનિક પોલીસને અલગ માર્ગે વાળવા જૂના મિત્ર મારફતે મુંબઈ અને દિલ્હીના કોન્ટ્રાક્ટ કિલર્સનો સંપર્ક સાધ્યો હતો. ચોથી ઓગસ્ટે ગોવિન્દુ દેશ છોડી મિડલ ઈસ્ટ થઈને યુકે અથવા યુએસ ભાગી ગયો હતો. અમારા ખબરીઓના મતે તે યુકેમાં છે અને તેના પ્રત્યાર્પણ માટે અમે ઈન્ટરપોલ અને યુકે સત્તાવાળાઓને વિનંતી મોકલીશું.
હત્યારાઓ ટ્રિપલ મર્ડર પછી દિલ્હી ભાગી જઈ છૂપાઈ ગયા હતા. પોલીસે ભારે શોધખોળ પછી ધર્મવીર, પ્રતાપ, નીરજ, નીતિન અને સંજયને ઓળખી કાઢ્યા હતા. પોલીસે ફરાર સંજય સિવાયના હત્યારાઓ તેમ જ શસ્ત્રો અને કાર સહિતની વ્યવસ્થા કરાવનારા મીડલમેન પંકજ, સતીષ અને મનજીતની ધરપકડ કરી હતી.

ભારતીય જ્યોતિષી ટ્રિપલ મર્ડરમાં સંડોવણી પછી બ્રિટનમાં છુપાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.