ધર્મસ્થાનોના સમારકામ માટે ગ્રાન્ટ
લંડનઃ રીડિંગ વેસ્ટના સાંસદ આલોક શર્માએ તેમના મતવિસ્તારમાં આવેલા ચર્ચ, મંદિર, મસ્જિદ, ગુરદ્વારા અને સીનેગોગ સહિતના ધર્મસ્થાનકોને પત્ર પાઠવીને અસુરક્ષિત ધર્મસ્થાનોની છત અને ગટર વ્યવસ્થાના સમારકામ માટે ૧૫ મિલિયન પાઉન્ડના નવા ભંડોળની માહિતી આપી છે.
ચાન્સેલરના ઓટમ સ્ટેટમેન્ટના ભાગરૂપે ત્રીજી ડિસેમ્બરે જાહેર આ યોજના હેઠળ તમામ ધર્મોના નોંધાયેલા ધર્મસ્થાનકોને છત અને રેઈનવોટર સાધનોના આવશ્યક અને તાકીદના સમારકામ માટે ૧૦ હજારથી એક લાખ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ અપાશે. ગ્રાન્ટ માટેની અરજી આગામી ૩૦ જાન્યુઆરી સુધીમાં કરવાની રહેશે. માર્ચ ૨૦૧૫ના અંત સુધીમાં ફાળવણી મંજૂર કરાશે. ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ વતી નેશનલ હેરિટેજ મેમોરિયલ ફંડ દ્વારા આ યોજનાનું સંચાલન થશે. યોજના વિશે વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટ www.nhmf.org.uk
