હવે આઇપીએલ ટીમે યુવરાજ, કાર્તિકને પડતા મૂક્યા
નવી દિલ્હીઃ આઇપીએલની સીઝન સેવનમાં સૌથી મોંઘા ખેલાડી જાહેર થયેલા યુવરાજ સિંહને એક અઠવાડિયાની અંદર બીજો ફટકો પડ્યો છે. તેને આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ-બેંગલોરે ટીમમાંથી રિલીઝ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટીમે તેને પડતો મૂક્યો હોવાથી હવે આઇપીએલ-૮માં રમવા તેણે ફરીથી હરાજીમાં સામેલ થવું પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુવીને વર્લ્ડ કપ માટેના ૩૦ સંભવિતોની ટીમમાંથી પણ પડતો મૂકાયો હતો.
યુવરાજ ઉપરાંત દિલ્હી ડેરડેવિલ્સ ટીમે દિનેશ કાર્તિક તથા સાતમી સિઝનના કેપ્ટન કેવિન પીટરસનને ટીમમાંથી બહાર કાઢ્યા છે જ્યારે ભારતના ઝડપી બોલર ઝહીર ખાનને મુંબઈ ઇન્ડિયન્સે આગામી સિઝન માટે જાળવી રાખ્યો નહોતો. દિનેશ કાર્તિક માટે દિલ્હી ડેરડેવિલ્સે ૧૨.૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે યુવરાજને બેંગલોર ટીમે ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે સાતમી સિઝનમાં ટીમ માટે ૩૭૬ રન ફટકાર્યા હતા. જે બેંગલોર તરફથી બીજા ક્રમના સૌથી વધારે રન હતા.
ચેન્નઈ સુપર કિંગ્સે બેન હિલ્ફૈન્હોસ, જ્હોન હેસ્ટિંગ, વિજય શંકર તથા ડેવિડ હસ્સીને પડતા મૂક્યા છે. ડેરડેવિલ્સ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૦ ખેલાડીઓની બાદબાકી કરી છે. આગામી હરાજીમાં ખર્ચ કરવા માટે ડેરડેવિલ્સ પાસે રૂ. ૪૧ કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે ૨૧.૫ કરોડ અને હૈદરાબાદ પાસે રૂ. ૨૧ કરોડ છે. જ્યારે ચેન્નઈ પાસે માત્ર રૂ. પાંચ કરોડ અને મુંબઈ ઇન્ડિયન્સ પાસે રૂ. ૧૦ કરોડ ખર્ચ કરવા માટે છે.
