આઘાત ઘટાડે વડીલોની વય
લંડનઃ વૃદ્ધ દંપતીમાંથી એકનું મૃત્યુ થાય તેના થોડાં સમયમાં બીજાનું પણ મૃત્યુ થયાના ઘણાં દાખલા મળે છે. સંશોધકો આ અંગે કહે છે, કે વૃદ્ધોના દિલને લાગેલો આઘાત તેમની જિંદગી ટુંકાવી શકે છે કારણ કે દુઃખથી તેમની રોગપ્રતિકાર શક્તિ નબળી પડે છે. સાથીદાર કે ગાઢ મિત્રના મોતથી વૃદ્ધ લોકોમાં સ્ટ્રેસ હોર્મોન્સની સમતુલા ખોરવાય છે અને ઈમ્યુન સિસ્ટમના કોષોમાં ઘટાડો થાય છે, જે તેમને મૃત્યુ ભણી દોરી જાય છે.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સંશોધકોએ ૧૦૦ વ્યક્તિનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી અડધાની વય ૬૫ વર્ષથી વધુ અને બાકી ૧૮-૪૫ વયજૂથના હતાં. દરેક જૂથમાં અડધાએ તાજેતરમાં નિકટની વ્યક્તિનો વિયોગ સહન કર્યો હતો. સંશોધનમાં જણાયું કે આમાંથી માત્ર વૃદ્ધોમાં હોર્મોન્સની સમતુલા ખોરવાઈ હતી. યુવા લોકોમાં રોગ-પ્રતિકાર શક્તિ મજબૂત હોય છે, પણ વય વધવા સાથે તે ઘટે છે.
‘ઈમ્યુનિટી એન્ડ એજિંગ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસના તારણો દીર્ધકાળથી લગ્નબંધને જોડાયેલાં દંપતીમાં એક સાથીના મોતના થોડાં જ સમયમાં અન્ય સાથીનું પણ મોત થવાની અસાધારણ ઘટના પાછળનું રહસ્ય સમજાવે છે. આ તારણો બાદ હવે વૃદ્ધ લોકોને ભારે આઘાત લાગે તો તેવા સંજોગોમાં હોર્મોન્સ સપ્લીમેન્ટ્સ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તેવી શક્યતા છે.
