નર્સ જેસિન્થાના પરિવાર ટ્રસ્ટને ઓસ્ટ્રેલિયન રેડિયો કંપનીનું દાન

લંડનઃ નર્સ જેસિન્થા સલ્ધાનાએ જે બનાવટી કોલના કારણે સાત ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ જીવન ટુંકાવ્યું હતું તેના માટે કારણભૂત ઓસ્ટ્રેલિયન રેડિયો કંપની સધર્ન ક્રોસ ઓસ્ટેરીઓએ મૃતકના પરિવારના લાભાર્થે સ્થપાયેલા ટ્રસ્ટમાં ૨૮૯,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું છે. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ ખાતે ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ઈન્ક્વેસ્ટના અંતે કોરોનર ફિઓના વિલ્કોક્સે જેસિન્થા સલ્ધાનાએ આત્મહત્યા કરી હોવાનો ચૂકાદો આપ્યો હતો.
ક્વીનના અવાજમાં વાત કરનારી ઓસ્ટ્રેલિયન રેડિયો ડીજે મેલિન ગ્રેગને કોરોનરે ઈન્ક્વેસ્ટ સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક શુક્રવારે આપી હતી. મિસ ગ્રેગે સંબોધન દરમિયાન અશ્રુભીની આંખે નર્સ જેસિન્થાના પરિવારની માફી માગી હતી. મિસ ગ્રેગે નર્સના પતિ બેનેડિક્ટ બારબોઝા તેમ જ બે સંતાનો જુનાલ અને લિશાને પોતે આ કૃત્ય બદલ અતિ દિલગીર હોવાનું જણાવી કહ્યું હતું કે આ કરુણ ઘટના તેને જીવનભર યાદ રહેશે અને ભૂલની યાદ અપાવશે.
ડિસેમ્બર ૨૦૧૨માં લંડનની કિંગ એડવર્ડ્સ હોસ્પિટલમાં સારવાર લેતાં ડચેસ ઓફ ક્રેમ્બ્રિજની તબિયતના સમાચાર જાણવા ક્વીન અને પ્રિન્સ ઓફ ચાર્લ્સના અવાજમાં આવેલાં ફોનને નર્સ સલ્ધાનાએ અન્ય નર્સ તરફ ડાઈવર્ટ કર્યો હતો અને તે નર્સે સારવારની વિગતો આપી હતી.
જેસિન્થાએ આત્મહત્યા કરતા અગાઉ લખેલી ચિઠ્ઠીમાં તે નર્સની પણ માફી માગીને આ સમગ્ર ઘટના માટે પોતે જ દોષિત હોવાનું જણાવ્યું હતું. નર્સ જેસિન્થાના પરિવાર વતી લેસ્ટરના સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે ૧૧૫ સેકન્ડમાં આવેલાં ચાર કોલ્સના કારણે બેનેડિક્ટે પત્ની અને જુનાલ તથા લિશાએ માતા ગુમાવી તે ખરેખર દર્દનાક છે. આ ઘટનાએ તેમની જિંદગી બદલી નાખી છે.
