અને અમદાવાદી વિક્કી બન્યો ડ્રગ માફિયા
અમદાવાદઃ વિક્કી ગોસ્વામીની સિલસિલાબંધ વિગતો ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઇ છે. જે અનુસાર, ૧૯૯૦ના દાયકામાં દારૂના ધંધાર્થી તરીકે ગુનાઇત દુનિયામાં પગ મૂકનાર વિક્કીએ સાબરકાંઠામાં મેન્ડ્રેક્સ બનાવવા ફેક્ટરી નાખી હતી. ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યા બાદ ૧૯૯૧માં કેસ પણ નોંધાયો હતો.
૧૯૯૮માં તેના પાલડી ખાતેના મકાન પર દાઉદ ગેંગ સાથે સંકળાયેલા અબુ સાલેમે ગોળીબાર કરાવ્યો હતો. વિક્કીના પરિવારમાં ૧૬ ભાઇબહેન છે. વિક્કી નવમા નંબરનું સંતાન છે. તેના પિતા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આજે પણ પાલડીમાં તેના પરિવારના સભ્યો રહે છે. પરંતુ તેમનો દાવો છે કે વિક્કી સાથે તેમને હાલમાં કોઈ જ લેવાદેવા નથી.
મમતા કુલકર્ણી એક શો માટે દુબઈ ગઈ હતી ત્યાં એક પાર્ટીમાં બંને મળ્યા હતાં. પછી મમતાને પામવા વિક્કી ઇસ્લામ અપનાવીને યુસુફ અહેમદ બની ગયો હતો જ્યારે નિકાહ બાદ મમતા આયેશા બેગમ બની ગઈ હતી. ૨૦૧૨થી બંને આફ્રિકામાં વસે છે.
