કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુરલી દેવરાનું નિધન

ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

• કેન્દ્રના માર્ગ વાહનવ્યવહાર પ્રધાન નિતિન ગડકરીએ મંગળવારે દિલ્હીથી કાઠમંડુ બસ સેવાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ કાઠમંડુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમંડુ-દિલ્હી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ માર્ગ ઉપર એક લકઝરી વોલ્વો બસ ચલાવશે અને તેનું ભાડું રૂ. ૨૩૦૦ છે.

• છેલ્લા ત્રણ દાયકાથી ભારતના નિઃસંતાન દંપતીઓમાં ભાડૂતી કૂખ (સરોગેટ મધર) દ્વારા સંતાન મેળવવાની પદ્ધતિ કોઈપણ પ્રકારની કાનૂની જોગવાઈ વગર પ્રચલિત છે. જે માત્ર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની માર્ગદર્શિકાના આધારે ચાલે છે. આ પ્રથાને હવે કાયદાનું સ્વરૂપ આપવા માટે પ્રથમવાર ‘આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી’(એઆરટી) ના ખરડા તરીકે લોકસભાના સત્ર દરમિયાન રજૂ કરાશે. આ બિલમાં અન્ય નિયમો સહિત સરોગસી માટે સ્ત્રીની પસંદગી કરનારાં દંપતીઓ માટે મહત્તમ વયમર્યાદા નક્કી કરવાના નિયમનો સમાવેશ કરાયો છે. જોકે આ ઉંમર નક્કી કરવા અંગે ડોક્ટરોમાં મતભેદ છે. આ ખરડો ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા ડોક્ટરો પાસેથી મેળવેલી માહિતીના આધારે તૈયાર થયો છે. શાસક પક્ષની બહુમતીને આધારે આ ખરડાને લોકસભામાં મંજૂરી મળવાની પ્રબળ સંભાવના છે.
• આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર એમ એસ ધીર ગત સપ્તાહે ભાજપમાં જોડાયા છે. ધીર ઉપરાંત બે અન્ય નેતાઓ રાજેશ રાજપાલ અને અશ્વિની ઉપાધ્યાય પણ ભાજપમાં સામેલ થયા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી અગાઉ આ ઘટના ‘આપ’ માટે આંચકા સમાન ગણવામાં આવે છે. શાઝિયા ઈલ્મી પણ ભાજપમાં વિધિવત જોડાય તેવી શક્યતા છે.
• તિહાડ જેલમાં બંધ સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયની મુશ્કેલીઓ વધી શકે છે. સોમવારે સહારા ગ્રૂપની દિલ્હી અને નોઇડામાં આવેલી ત્રણ ઓફિસોમાં આવકવેરા વિભાગે દરોડા પાડતા લગભગ રૂ. ૧૦૦ કરોડ રોકડા અને જંગી પ્રમાણમાં સોનું કબજે કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા નોંધાયેલ  મની લોન્ડરિંગના કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

• પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ શારદા કૌભાંડ મામલે તેમના પક્ષના સાંસદ સંજય બોઝની ધરપકડ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે મોરચો માંડયો હતો અને પોતાની ધરપકડ કરી બતાવવા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા પડકાર ફેંક્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુરલી દેવરાનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.