ભારતીય ક્રિકેટ બોર્ડ રમતની ઘોર ખોદી રહ્યું છે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ ક્રિકેટને બરબાદ કરી રહ્યું છે. તમારા આ પ્રકારના વર્તનથી ક્રિકેટની હત્યા થઇ રહી છે.
ફરી બીસીસીઆઈ અધ્યક્ષ બનવા શ્રીનિવાસને કરેલી અપીલ અંગે કોર્ટે કહ્યું કે, તમે બીસીસીઆઈ અધ્યક્ષ હોવાની સાથે આઇપીએલની ટીમના માલિક પણ છો અને તમારી ટીમના અધિકારી સટ્ટો રમતાં ઝડપાયા છે. આથી બંને પદ પર હોવાથી તમારે જવાબ આપવો પડશે કેમ કે, તેનાથી બીસીસીઆઈ અધ્યક્ષની પ્રતિષ્ઠા પર અસર પડે છે.
કોર્ટે કહ્યું હતું કે, જો અમે આ પ્રકારે ચલાવી લેશું તો તમે ક્રિકેટને ખતમ કરી નાખશો. અમે જસ્ટિસ મુકુલ મુદ્ગલના રિપોર્ટના નિષ્કર્ષને યોગ્ય માનીએ છીએ. શ્રીનિવાસને ફરીથી બીસીસીઆઈ અધ્યક્ષ બનવા રજૂઆત કરી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ અધ્યક્ષ બનવું એ સામાન્ય પ્રક્રિયા નથી. તમને મુદ્ગલ કમિટિના રિપોર્ટમાં ક્લિનચિટ અપાઇ છે એમ માની રહ્યો છો, પરંતુ તમે ક્રિકેટ બોર્ડના નિયમોનો હવાલો આપીને અધ્યક્ષ બનવા માટે રજૂઆત કરી શકો નહીં.
