મેડિટેશનનો ચમત્કારઃ માનસિક તણાવ માત્ર ૧૦ દિવસમાં દૂર થાય
ન્યૂ યોર્કઃ કોઈ આઘાતની સ્થિતિ પછી સર્જાયેલા માનસિક તણાવની સ્થિતિનો ભોગ બનેલા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) ધરાવતા લોકો માટે એક ખુશખબર છે. જેમાં ગહન ધ્યાન કરનારા લોકોને આ પ્રકારના માનસિક તણાવમાંથી ૧૦ જ દિવસમાં મહદ્અંશે રાહત મળી જાય છે. આ મેડિટેશન ખાસ કરીને એ લોકો માટે ઉપયોગી છે જેઓના જીવનમાં એક કે તેનાથી વધુ આઘાતજનક ઘટનાઓ બની હોય અને માનસિક તણાવથી પીડાતા હોય. આ માટે યુગાન્ડામાં કોન્ગોના યુદ્ધઆશ્રિતો પર પ્રયોગો કરાયા હતા, જેમાં મેડિટેશનના કારણે મળેલી સફળતા સંશોધકોએ નોંધી હતી.
જોકે અગાઉ આવા જ એક સંશોધનમાં જણાવાયું હતું કે ગહન ધ્યાનથી ૩૦ દિવસમાં માનસિક તણાવ દૂર થઈ શકે છે અને તણાવગ્રસ્ત લોકોમાં તણાવના ચિહનો મહદ્અંશે દૂર થતાં જોવા મળ્યા હતાં. જોકે સંશોધકોએ કહ્યું હતું કે અમારા આશ્ચર્ય વચ્ચે આ નવા પ્રયોગ દરમિયાન તણાવગ્રસ્ત લોકો માત્ર ૧૦ દિવસમાં ધ્યાનની પ્રક્રિયાથી તણાવમુક્ત થયા હતા. યુએસ આર્મી રિઝર્વ મેડિકલ કોર્પ્સના કર્નલ બ્રિયાન રીસે કહ્યું હતું કે અમે ગહન ધ્યાનની પ્રક્રિયામાં ૧૧ તણાવગ્રસ્તોને તપાસ્યા હતા. તેઓમાં ૧૦ દિવસ બાદ તણાવના લક્ષણો જોવા મળ્યા ન હતા. જેમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થઈ ચૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે માનસિક તણાવ ધરાવતા લોકો પાસે ગહન ધ્યાનની પ્રક્રિયા કરાવવામાં આવી ત્યારે શરૂઆતમાં તેઓના તણાવમાં વધારો થતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો હતો.
અમેરિકન આર્મીમાં ઉંડા ધ્યાનની પ્રક્રિયા મહત્ત્વનો ભાગ છે અને તેને એક સારવાર તરીકે ઉપયોગમાં લેવાય છે. સંશોધકોના કહેવા પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ ખાસ ધ્યાન પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે તે આરામદાયક સતર્કતાની સ્થિતિમાં પહોંચે છે. જો દરરોજ ૨૦ મિનિટ માટે બે વખત આ ક્રિયા કરવામાં આવે તો શારિરીક અને માનસિક ક્રિયાઓમાં ઘણો તાલમેળ આવી જાય છે. આ ઉપરાંત તેનાથી અણગમતા વિચારો પણ ઓછા કરી
શકાય છે.
