પ્રાંતિજમાં બ્રિટિશરોની હત્યાના કેસમાં આરોપીઓને આકરી સજા કરવા માગ
અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના અતિ સંવેદનશીલ કેસના ટ્રાયલમાં ફરિયાદ પક્ષે દલીલો કરી હતી કે, હાઈવે પર જ્યારે કોઈપણ નાગરિક મુસાફર વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય અને તેવા નિર્દોષ લોકોને માત્ર ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ વાંક-ગુના વગર જાહેરમાં રહેંસી નાખવાની ઘટના નિંદનીય અને રાષ્ટ્ર માટે શરમજનક છે.
આવું અમાનવીય અને અત્યંત ધૃણાસ્પદ કૃત્ય આચરવા બદલ આ કેસના આરોપીઓને કોર્ટે સમાજમાં સબક સમાન સખતમાં સખત સજા ફટકારવી જોઈએ.
હિંમતનગર સેશન્સ કોર્ટે ખાતે ગત સપ્તાહે પ્રોસીક્યુશનની દલીલો પૂર્ણ થઈ જતાં સ્પેશ્યલ જજ આઈ.સી. શાહે વધુ સુનાવણી ૧૨ જાન્યુઆરીએ મુકરર કરી છે. એ દિવસે આરોપી પક્ષ તરફથી પોતાનો બચાવ રજૂ થાય તેવી શક્યતા છે.
