સાયના નહેવાલને આખરે પદ્મ ભૂષણ માટે નોમિનેટ કરાઇઃ
ભારતની ટોચની બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલને પદ્મ ભૂષણ એવોર્ડ માટે નોમિનેટ કરવાનો કેન્દ્રિય રમતમંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રમત મંત્રાલયના આ નિર્ણય સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ-ટકરાવનો અંત આવી ગયો છે.
રમતમંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે 'સાયનાએ રમતમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તેને ધ્યાનમાં લઇને અમે તેને પણ પદ્મ ભૂષણ એવોર્ડ માટે નોમિનેટ કરવા નિર્ણય લીધો છે. અલબત્ત, પદ્મ ભૂષણ એવોર્ડ માટે મિનિસ્ટ્રિ ઓફ હોમ અફેર્સને નામ મોકલવાની ડેડ લાઇન ઘણા સમય અગાઉ જ વીતી ચૂકી છે. ' સાયના નહેવાલે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે ગત વર્ષે ઓગસ્ટમાં બેડમિન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ તેનું નામ પદ્મ ભૂષણ એવોર્ડ માટે મોકલ્યું હતું પરંતુ રમતમંત્રાલયે નીતિ નિયમો આગળ ધરી તેની અરજી ફગાવી દીધી હતી. જેની સામે રમતમંત્રી સરબનાન્દા સોનોવાલે એવો ઉત્તર આપ્યો હતો કે અમને ડેડલાઇન વીતી ગયા પછી એપ્લિકેશન મળી હોવાથી સાયનાનું નામ ધ્યાનમાં લીધું નહોતું. આમ, સાયના સાથે હવે રેસલર સુશિલ કુમાર પણ પદ્મ ભૂષણ એવોર્ડ માટે નોમિનેટ છે.
