‘ઈન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઈન નિબંધ લેખનસ્પર્ધા

અમદાવાદઃ યુકેસ્થિત પ્રતિષ્ઠિત સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમ જ ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટ્સ ઓર્ગેનિઝેશન)ના સહકારમાં ‘ઈન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઈન નિબંધ લેખનસ્પર્ધા લોન્ચ કરવાનો નાનો સરખો કાર્યક્રમ નવ જાન્યુઆરીએ યોજાયો છે. ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે સવારે ૯.૦૦ કલાકે કાર્યક્રમનો આરંભ કરાશે. મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાના ૧૦૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ નિબંધસ્પર્ધા લોન્ચ કરીને આ સંસ્થાઓ ગાંધીજીને નમ્ર અંજલિ અર્પવાનો પ્રયાસ કરી રહી છે. ‘સંપદ’ સંસ્થા ઘણાં વર્ષોથી યુકે અને વિદેશમાં સક્રિય છે. સુશ્રી પિઆલી રે OBE સંસ્થાના ડિરેક્ટર છે. સંપદ દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશનના સહયોગમાં ૨૦૧૪માં ‘રાઈટિંગ્સ ઓફ ધ ટાગોર’ વિષય પર આવી જ સ્પર્ધા યોજાઈ હતી.
દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત પરત ફરેલા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી. આ રીતે કોચરબ આશ્રમનું વિશેષ મહત્ત્વ છે. કોચરબ પછી નવો આશ્રમ સાબરમતી ખાતે સ્થાપવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર શ્રી રાજેન્દ્ર ખીમાણીની પરવાનગી અને કોચરબ આશ્રમના કો-ઓર્ડિનેટર શ્રી રમેશ ત્રિવેદીના સહકારના પરિણામે આ કાર્યક્રમ યોજવાનું સ્વપ્ન સાકાર થયું છે.
આ કાર્યક્રમમાં ભારત અને વિશેષતઃ ગુજરાતમાંથી થોડાં NRI મિત્રો સહિત નાની સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા છે. ગાંધીજી વિશે મોટું કાર્ય કરનારા પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડો. જયશ્રીબહેન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારિયા, વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર અને હિન્દુસ્તાન સમાચારના બ્યુરો ચીફ શ્રી ભૂપતરાય પારેખ, NRG સેન્ટરના પ્રમુખ શ્રી કે. એચ પટેલ, ડો. બળવંત જાની, શ્રી તુષાર જોષી, શ્રીમતી માયાબહેન દીપક, ગુજરાત મીડિયા ક્લબના સભ્યો તેમ જ અન્ય અગ્રણીઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે. મહાત્મા ગાંધીના કોઈ પણ ચાહક અને પ્રશંસક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે.
