વિદેશી અઘોષિત સંપત્તિ જાહેર કરવા ત્રણ મહિનાનો સમય
કેન્દ્રની મોદી સરકારે કાળા નાણાની જાહેરાત માટેની સમયમર્યાદા નક્કી કરતાં કરચોરીની કબૂલાત કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે કાળા નાણાની જાહેરાત માટેની સમયમર્યાદા નક્કી કરતાં કરચોરીની કબૂલાત કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કાળા નાણા અંગેના નવા કાયદા અંતર્ગત વિદેશોમાં રહેલી અઘોષિત સંપત્તિની જાહેરાત ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરી શકાશે. એકવાર આ સમયમર્યાદા પૂર્ણ થયા પછી વિદેશમાં અઘોષિત સંપત્તિની જાણ થશે તો તે વ્યક્તિએ ૩૦ ટકા કર, ૯૦ ટકા પેનલ્ટી અને ફોજદારી કેસનો સામનો કરવો પડશે, જેમાં ૧૦ વર્ષ સુધીની કેદની સજા પણ થઇ શકે છે. ત્રણ મહિનામાં જાહેર કરેલી સંપત્તિ પરનો કર અને પેનલ્ટી ૩૧ ડિસેમ્બર સુધીમાં ચૂકવી શકાશે, જે લોકો સંપત્તિ જાહેર કરશે તેમને ૩૦ ટકા કર અને ૩૦ ટકા પેનલ્ટી ચૂકવવાની રહેશે.
એક નિવેદનમાં નાણામંત્રાલયે જણાવ્યું હતું કે કાળા નાણાં કાયદા અંતર્ગત સરકારે ત્રણ મહિનાની કોમ્પ્લાયન્સ વિન્ડોની જાહેરાત કરી છે. આ નવો કાયદો મે મહિનામાં બજેટ સત્ર દરમિયાન પસાર થયો હતો. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ૨૬ મે ૨૦૧૫થી આ કાયદો અમલી બન્યો છે.
