અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પરથી ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનું પ્રમાણ વધ્યું
અમેરિકન વહીવટી તંત્રે છેલ્લા કેટલાક સમયથી ત્યાં ગેરકાયદે પ્રવેશ કરતા અન્ય દેશના નાગરિકો પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે.
અમદાવાદઃ અમેરિકન વહીવટી તંત્રે છેલ્લા કેટલાક સમયથી ત્યાં ગેરકાયદે પ્રવેશ કરતા અન્ય દેશના નાગરિકો પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે. પરંતુ આ આવા કડક અભિગમને પગલે માત્ર ફરવા માટે અમેરિકા જઇ રહેલા નિર્દોષ પ્રવાસીઓને ગંભીર પરેશાની ભોગ બનવું પડે છે. અમદાવાદના એક દંપતીને પણ આવો કડવો અનુભવ થયો છે. અમદાવાદમાં રહેતા કનૈયાલાલ પટેલ અને તેમના પત્ની ભાવનાબહેન પટેલ પાસે ૧૦ વર્ષના મલ્ટિપલ વિઝા હોવા છતાં ગત સપ્તાહે અમેરિકન ઇમિગ્રેશન વિભાગે નેવાર્ક એરપોર્ટ
ઉપરથી ૪૮ કલાકમાં જ તેમને ડિપોર્ટ કર્યા હતા.
આ અંગે ભાવનાબહેનના પિતા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘મારી પુત્રી અને જમાઇ કનૈયાલાલ પટેલને ફેબ્રુઆરીમાં અમેરિકાના મલ્ટિપલ વિઝા મળ્યા હતા. વેકેશન દરમિયાન અમેરિકા ફરવા જઇ શકાય તેના માટે મારી તેઓ ૭ મેએ ત્યાંના નેવાર્ક એરપોર્ટ પહોંચ્યા હતા. નેવાર્ક એરપોર્ટ ઉપર પહોંચતા જ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમની કડક પૂછપરછ શરૂ કરી હતી. ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને પૂછ્યું કે તમે શા માટે અમેરિકા આવ્યા છો? આ સમયે મારા જમાઇએ એવો જવાબ આપ્યો કે તેઓ ફરવા માટે અહિ આવ્યા છે. અધિકારીએ સામે જવાબ આપ્યો કે, તમે ફરવા માટે નહીં અમેરિકામાં વસવાટ કરવા જ આવ્યા છો. આ પ્રકારની દલીલ શરૂ કરી તેમણે પરેશાન કર્યા હતા.
ઇમિગ્રેશન અધિકારીઓમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થતો હતો. આ ગુજરાતી ઓફિસરે તો સ્પષ્ટ જણાવ્યું કે, ‘તમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેકના પાસપોર્ટ ઉપર સહી-સિક્કા લગાવી દે તેનો મતલબ એવો નથી કે અમારે દરેકની અમેરિકામાં ઘૂસણખોરી કરવા દેવાની?’ આ પછી ઇમિગ્રેશન અધિકારીએ તેમને ક્યારે પાછા ફરશો તેવું પૂછ્યું તો, મારા જમાઇએ તેમને રિર્ટન ટિકિટ બતાવી હતી.
જોકે, તેમણે રિટર્ન ટિકિટ પોતાની પાસે રાખી લીધી હતી. મારા જમાઇ-પુત્રીની કુલ આઠ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને વોશરૂમમાં પણ જવા પણ દેવામાં આવ્યા નહોતા. સતત આઠ કલાક સુધી પૂછપરછમાં તેમને ૨૦૦ એમએલ પાણી આપ્યું હતું. બાદમાં તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ફ્લાઇટમાં પણ તેમના માટે કંઇ ખાવા-પીવાની વ્યવસ્થા નહોતી.’
૧૫ દિવસમાં ૫૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરાયા
અમેરિકાએ છેલ્લા ૧૫ દિવસમાં જ ૫૦ કરતા વધુ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. જે પૈકી ૧૯ નાગરિકોને ૯ મેએ ડિપોર્ટ કર્યા હતા. જ્યારે હજુ વધુ ૩૦ નાગરિકો ડિપોર્ટ થઇને આવી રહ્યા છે તેવી જણાવવામાં આવે છે. ડિપોર્ટ થયેલા ભારતીયોમાં ગુજરાતીઓનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને નેવાર્ક એરપોર્ટ ખાતે જ ભારતીય નાગરિકોને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે તે ફરિયાદ ઉઠી રહી છે.
ગત મહિને હાર્દિક પરમાર નામના અમદાવાદના વિદ્યાર્થી પાસે સ્ટુડન્ટ વિઝા હોવા છતાં તેને નેવાર્ક એરપોર્ટથી જ ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે પણ નેવાર્ક એરપોર્ટના ગુજરાતી ઇમિગ્રેશન અધિકારી દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ગુજરાતના ૩૮ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
