દર્દનિવારક દવા બાળકો માટે નુકસાનકારક
લંડનઃ એક નવા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે દર્દ નિવારવા માટે લેવામાં આવતી દવાઓમાં રહેલું ઘટક પેરાસિટામોલ બાળકોનાં મગજનો વિકાસ મંદ પાડીને તેને રુંઘી શકે છે અને ગર્ભસ્થ બાળકો માટે ભયજનક પુરવાર થઇ શકે છે. આમ બાળકના બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા ધીમી પડી શકે છે.
ઉપસાલા યુનિર્વસિટીના વૈજ્ઞાનિકોએ બાળકોમાં દુખાવો કે તાવ માટે સાર્વત્રિક વપરાતી દવા પેરાસિટામોલનો ૧૦ દિવસના ઉંદરને નાનો ડોઝ આપીને તેની અસર ચકાસી હતી. ત્યારબાદ તેમણે આ ઉંદરો જ્યારે પુખ્ત થયા ત્યારે તેમની વર્તણૂકોનો અભ્યાસ કર્યો હતો.
તેમને આ અભ્યાસ દ્વારા જણાયું હતું કે જે ઉંદરોને પેરાસિટામોલનો ડોઝ આપવામાં આવ્યો હતો તે ઉંદરો પુખ્ત થયા ત્યારે હાઇપર એક્ટિવ જોવા મળ્યા હતા, તેમની વર્તણૂક સમસ્યારૂપ જોવા મળી હતી અને યાદશક્તિ ઓછી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે મગજનો વિકાસ થતો હોય ત્યારે પેરાસિટામોલનો ઉપયોગ મગજના વિકાસ અને જ્ઞાનશક્તિ પર દુરોગામી અસરો પહોંચાડી શકે છે.
