મૂળ ખોલવડના NRIનું સન્માન

સુરતઃ ગાંધીનગરમાં ગત સપ્તાહે યોજાયેલા ૧૩મા પ્રવાસ ભારતીય દિવસની ઉજવણીમાં દક્ષિણ આફ્રિકાવાસી યુસુફ પહાડનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડના ગુલામભાઈ પહાડે દક્ષિણ આફ્રિકામાં સ્વ. નેલ્સન મંડેલા સાથે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમના પુત્ર યુસુફભાઈ પણ પિતા સાથે જોડાયા હતા.
દક્ષિણ આફ્રિકામાં ચળવળ ઊગ્ર બનતા યુસફભાઈ અને પરિવારને આફ્રિકા છોડવું પડ્યું હતું અને તેઓ મુંબઈમાં આવ્યા હતા જ્યારે ભાઈઓ ઈંગ્લેન્ડ ગયા હતાં. તેઓ વિદેશમાં રહીને પણ દક્ષિણ આફ્રિકાની લડત ચલાવતા હતા. સ્વ. મંડેલાનો જેલમાંથી છૂટકારો થતાં આફ્રિકામાં નેશનલ કોંગ્રેસની સરકાર બનાવી હતી. સ્વ. મંડેલાની સરકારમાં યુસુફભાઈ વિદેશ પ્રધાન બન્યા હતા. પહાડ પરિવારનું યોગદાન દક્ષિણ આફ્રિકામાં આંખે વળગે તેવું છે. અત્યારે તેઓ નિવૃત્ત જીવન ગાળે છે અને લેખન પ્રવૃત્તિ સાથે સામાજિક સેવા કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાંથી પ્રગટ થતાં The Thinker મેગેઝિનના તંત્રી છે. ખોલવડના ઇબ્રાહિમભાઇ દાઢીશેઠના તેઓ ભાણેજ થાય છે. મોસાળ અને વતન ખોલવડમાં યુસુફભાઇનું સ્વાગત થયું હતું. આ ઉપરાંત તેમણે કબ્રસ્તાનમાં માતાની કબરે જઇને દુઆ ગુજારીશ પણ કરી હતી.
