હવે પ્રવાસી ભારતીય દિવસ હરિયાણામાં યોજોઃ ખટ્ટર
ગાંધીનગરઃ હરિયાણાના તાજેતરમાં જ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે વર્ષ ૨૦૧૬માં પ્રવાસી ભારતીય દિન (પીબીડી) હરિયાણામાં યોજવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. તે સાથે હરિયાણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અનેક જાણીતી બ્રાન્ડની ફેક્ટરીઓ ધરાવતી હોવાનું કહ્યું હતું.
જોકે તેમની સરકારનું ફોક્સ આગામી સમયમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાનું તેમણે કહ્યું હતું. તે સાથે નવી દિલ્હીથી નજીક આવેલું હોવાથી વિદેશવાસી ભારતીયોને રોકાણ માટે વધુ અનુકૂળ હોવાનું પણ કહ્યું હતું. હરિયાણાનો પણ વાઇબ્રન્ટ અને સક્ષમ રાજ્ય તરીકે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, તેમ તેમણે અહીં જણાવ્યું હતું.
ખટ્ટરે વધુમાં કહ્યું હતું કે એનઆરઆઇ વિષયક માહિતી આપવા માટે એક ખાસ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. રોકાણ સહિતના ક્ષેત્રમાં એનઆરઆઈ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
