રાજપક્ષેની હારમાં ભારતીય રાજદૂતનો હાથ?

શ્રીલંકાએ સામાન્ય ચૂંટણી પહેલાં જ કોલંબોસ્થિત રોના પ્રમુખને બદલી દીધા હતા. તેમનો એવો આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને હરાવવામાં રોના વડા વિરોધ પક્ષને મદદ કરી રહ્યા હતા. રાજપક્ષેનો ઝુકાવો ચીન તરફી માનવામાં આવે છે. કોલંબો ખાતેના રોના વડાની હકાલપટ્ટીના અહેવાલોને ભારતે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી છે કે તેમની ત્રણ વર્ષની મુદ્દત પૂરી થતાં તેમને રાબેતા મુજબ બદલવામાં આવ્યા છે.

• ભારતની એકપણ એરલાઈન્સ સલામત નહીંઃ એક વેબસાઈટના સર્વેના જણાવ્યા મુજબ વિશ્વમાં માત્ર ૨૦ એરલાઈન્સ એવી જે છે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. દુનિયાભરમાંથી ૪૯૯ એરલાઈન્સોમાંથી માત્ર ૨૦ જ સલામત માનવામાં આવે છે. જેમાં એક ખાસ વાત એ છે કે તેમાં એક પણ ભારતીય એરલાઈન્સ કંપની સામેલ નથી. એર ન્યૂ ઝિલેન્ડ, બ્રિટિશ એરવેઝ, કેથે પેસિફિક, એર વે, એમિરેટ્સ, એતિહાદ એરવેઝ, એવા એરલાઈન્સ, ફીન એર, લુફ્તાન્સા, સિંગાપોર એરલાઈન્સ, ક્વોન્ટાસ, એર લિંગસ, અલાસ્કા એરલાઈન્સ, આઈસ લેન્ડ એર, જેટ બ્લુ, જેટ સ્ટાર, કુઆલાડોટ.કોમ, મોનાર્ક એરલાઈન્સ, થોમસ કુક, ટુઈ ફ્લાઈ અને વેસ્ટ જેટ. દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન્સમાં નેપાળની તારા એર અને નેપાળ એરલાઈન્સ, કઝાખસ્તાનની એરલાઈન્સ અને અફઘાનિસ્તાનની કમ એરને વધુ અંક મળ્યાં છે.
• સુનંદા હત્યા કેસમાં શશી થરુરની પૂછપરછઃ દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર હત્યા કેસમાં તેના પતિ અને કોંગ્રેસી સાંસદ શશી થરુરની સોમવારે પૂછપરછ કરી હતી. સુનંદાનું ગયા વર્ષે ૧૭ જાન્યુઆરીએ દિલ્હીની ફાઇવસ્ટાર હોટેલમાં રહસ્યમય મોત થયું હતું. તાજેતરમાં પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. 
• રાજકીય વિચારક રજની કોઠારીનું અવસાનઃ સીએસડીએસના સંસ્થાપક અને રાજકીય વિચારક રજની કોઠારી (૮૫)નું સોમવારે સવારે અવસાન થઈ ગયું. ૧૯૬૯માં તેમનું પ્રથમ પુસ્તક ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’નું પ્રકાશન થયું હતું. તે પુસ્તક ભારતીય રાજકારણની તર્કપૂર્ણ સમજ આપે છે.
• ભાજપે ચૂંટણીમાં કુલ રૂ. ૭૧૪ કરોડ ખર્ચ્યાઃ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં દેશના બે દિગ્ગજ રાજકીય પક્ષોએ અબજો રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો હોવાનું ચૂંટણી પંચના ડેટામાં નોંધવામાં આવ્યું છે. ચૂંટણી પંચે નોંધેલા ડેટા પ્રમાણે ભાજપ રૂ. ૭૧૪ કરોડનો ચૂંટણી ખર્ચ કરીને પ્રથમ નંબરે તેમ જ કોંગ્રેસ રૂ. ૫૧૬ કરોડનો ખર્ચ કરીને બીજા નંબરે છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કીમમાં વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીએ રૂ. ૫૧ કરોડ જ્યારે બીએસપીએ રૂ. ૩૦ કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપે કુલ રૂ. ૭૧૪ કરોડ ૨૮ લાખ ૫૭ હજાર ૮૧૩ અને કોંગ્રેસે પ૧૬ કરોડ બે લાખ ૩૬ હજાર ૭૮૫ રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. આ બંન્ને પક્ષોએ પોતાના ચૂંટણી ખર્ચની માહિતી ચૂંટણી પંચમાં જમા કરાવી છે. ખર્ચની માહિતી સોંપવામાં મોડું થતાં ચૂંટણી પંચે કારણ દર્શક નોટીસ પાઠવી હતી.
• મોદી સામેનો કેસ અમેરિકી કોર્ટે ફગાવ્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની અદાલતમાં રમખાણ કેસનો સામનો કરવો નહીં પડે. ગત સપ્તાહે ન્યૂ યોર્કના ફેડરલ જજે મોદી સામેનો રમખાણ કેસ ફગાવી દેતાં જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણો અટકાવવામાં મોદી નિષ્ફળ ગયા હતા તેવો દાવો કરતા ખટલાનો મોદીએ સામનો કરવો નહીં પડે. અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજે એનાલિસા ટોરેસે અમેરિકાની અદાલતોમાં દાખલ કરતાં દીવાની દાવાઓમાંથી સરકારના વડાઓને રાજદ્વારી મુક્તિ આપવામાં આવે છે, તેવી અમેરિકી વિદેશી વિભાગની દલીલને સ્વિકારી હતી. વડા પ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની સૌ પ્રથમ અમેરિકા મુલાકાત પૂર્વ સંધ્યાએ અમેરિકન જસ્ટિસ સેન્ટર નામના માનવઅધિકાર સંગઠન દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૪માં આ ખટલો દાખલ કર્યો હતો.
• લખવી મુદ્દે ભારતની મદદે અમેરિકા-બ્રિટનઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સુધરે તે માટે અમેરિકા અને બ્રિટને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ ઝકી-ઉર-રહેમાન લખવીને ભારતને અથવા તો તેમને સોંપવાની માગણી કરી છે. લખવીના જામીન મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોમવારે ફરિયાદી પક્ષે કોર્ટને જણાવ્યું કે, બંને દેશે લખવીને ભારતને અથવા તો તેમને સોંપવાની માગણી મૂકી છે. જો કે, ફરિયાદી પક્ષે આ બંને દેશ કયા તેનો ખુલાસો કર્યો નહોતો પરંતુ પાકિસ્તાનના સૂત્ર મુજબ અમેરિકા અને બ્રિટને પડોશીઓ સાથે સંબંધો સુધરે તે માટે નવાઝ સરકારને લખવીને ભારતને અથવા તો સ્વતંત્ર સુનાવણી માટે તેમને સોંપવા જણાવ્યું છે.
• ચીનમાં બોટ દુર્ઘટનામાં ભારતીય સહિત ૨૨નાં મોતઃ ચીનના પૂર્વીય જિયાંગ્સુ પ્રાંતમાં આવેલી યાંગત્ઝે નદીમાં એક ટગબોટ ઊંધી વળ્યા પછી લાપતા થયેલા એક ભારતીય સહિત ૨૨ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભારતીય સહિત કુલ આઠ વિદેશી નાગરિકો હતા. ભારતીયની હરિકૃષ્ણ મણિ તરીકે ઓળખ થઇ છે. હરિકૃષ્ણ સિંગાપોરનો નિવાસી છે. શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓએ જણાવ્યું કે હરિકૃષ્ણના પરિવારના સભ્યોને ચીન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
• જેકી ચેનના પુત્રને ડ્રગ કેસમાં છ મહિનાની કેદઃ ચીનાનાં જાણીતા ફિલ્મ અભિનેતા જેકી ચેનના પુત્રને નશીલા પદાર્થના ગુનામાં ૬ માસની સજા થઈ છે. ગેરકાયદે વેચાતા માદક પદાર્થો, નશીલાપદાર્થો અને ડ્રગ્સનાં સ્થળો પર દરોડા પાડતાં જણાયું કે વેચાણ માટેની જગ્યા જેકી ચેનનો પુત્ર ભાડે આપતો હતો. ૩૨ વર્ષનો જયસી ચેનને ૨,૦૦૦ યુઆનનો દંડ ફટકારાયો છે.

રાજપક્ષેની હારમાં ભારતીય રાજદૂતનો હાથ?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.