લેસ્ટરના ત્રાસવાદી મેઝેઈનને દેશનિકાલ કરવાના પ્રયાસો નિષ્ફળ
લેસ્ટરઃ પેરિસના હત્યાકાંડ સાથે સંકળાયેલા અને અલ-કાયદા માટે ભંડોળ એકત્ર કરનાર લેસ્ટરનિવાસી બગદાદ મેઝેઈન બ્રિટનમાં રહેવા માટે હ્યુમન રાઈટ્સ કાયદાનો ઉપયોગ કરી રહ્યો છે. મૂળ અલ્જિરિયાના વતની મેઝેઈનને ત્રાસવાદને ટેકો આપતું નેટવર્ક ચલાવવા બદલ ૨૦૦૩માં ૧૧ વર્ષની જેલની સજા કરાઈ હતી. બ્રિટન માટે જોખમી હોવાની દલીલ સાથે તેને હદપાર કરવાના સરકારના પ્રયાસ નિષ્ફળ ગયા છે.
મેઝેઈન સજા પામેલા ત્રાસવાદી અને પેરિસ હુમલાખોરોમાંના એકના મેન્ટર જામેલ બેઘાલનો નિકટનો સાથી છે. લેસ્ટરમાં તેઓ એકબીજાની નજીક રહેતા હતા અને અફઘાનિસ્તાનમાં અલ-કાયદાની તાલીમ છાવણીમાં જવા માટે બેઘાલ માટે બનાવટી પાસપોર્ટની વ્યવસ્થા મેઝેઈને કરી આપી હતી.
બ્રિટનમાં જન્મેલા બે સંતાનોના પિતા મેઝેઈન ૨૦૦૯માં જેલમુક્ત થયા પછી તેને હદપાર કરવા હોમ ઓફિસ સતત છ વર્ષથી કાર્યરત છે. જોકે, દેશનિકાલથી તેના પારિવારિક જીવનના માનવ અધિકારનો ભગ થશે અને તેને વતન મોકલાશે તો તેના પર અત્યાચાર થશે તેવા દાવા સાથે મેઝેઈને આ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે.
