એરપોર્ટ પર પ્રવાસીઓને તેમનું લગેજ ઝડપથી મળી જશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાઈ-ટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા મુસાફરોને તેમની બેગેજનું સચોટ લોકેશન મળશે.
એરપોર્ટ પર મોટાભાગના મુસાફરો લગેજની સમસ્યાની પરેશાન હોય છે. ઘણીવાર મુસાફર તો તેના મુકામે પહોંચી જાય છે પણ તેનું લગેજ સમયસર નહીં પહોંચ્યું હોવાની ફરિયાદ અવારનવાર સામે આવે છે. આ ફરિયાદના કાયમી ઉકેલ માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાઈ-ટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા મુસાફરોને તેમની બેગેજનું સચોટ લોકેશન મળશે.
અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા વર્ષના પ્રારંભે આ હાઈટેક બેગેજ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હાલ કોલકાતા, ચેન્નાઈ, એરપોર્ટ ખાતે આ પ્રકારની હાઈટેક બેગેજ મેનેજમેન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તેના વિશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘દરેક બેગેજમાં એક વિશેષ ટેગ લગાવવામાં આવશે. ટેગની વિશેષતા એ હશે કે તેમાં મુસાફરનું નામ અને તે ક્યાં જવાનો છે તેની માહિતી પણ હશે. આ ઉપરાંત એરપોર્ટમાં કેટલાક નક્કી કરવામાં આવેલા કર્મચારીઓને હેન્ડ હેલ્ડ ડિવાઈસ આપવામાં આવશે.
હેન્ડ હેલ્ડ ડિવાઈસ ધરાવતા કર્મચારીને મુસાફર તેનો ટિકીટ નંબર આપે એ સાથે જ તે પોતાનું લગેજ ક્યાં પહોંચ્યું તેની માહિતી મેળવી શકશે. આમ, મુસાફર માટે એક પ્રકારે આ વ્યવસ્થા ટ્રેકર જેવી કામગીરી કરશે.
