ટેસ્ટ ક્રિકેટને ધોનીની અલવિદા

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્ન ટેસ્ટ ડ્રો થયાના થોડા કલાક પછી જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ‘ધોનીના કહેવા અનુસાર તે વન-ડે અને ટી-૨૦માં ધ્યાન આપશે.’
ધોની છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ થનારી પ્રવાસની ચોથી ટેસ્ટમાં પણ રમશે નહિ. આ ટેસ્ટમાં વિરાટ કોહલી ટીમની કેપ્ટનશિપ સંભાળશે. પ્રથમ ટેસ્ટમાં પણ કોહલીએ જ કેપ્ટનશિપ કરી હતી. જોકે, ભારત તે ટેસ્ટમાં પણ પરાજિત થયું હતું. પોતાની છેલ્લી ટેસ્ટમાં ધોનીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. પહેલી ઈનિંગમાં તેણે માત્ર ૧૧ રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં તે ૨૪ રન સાથે અણનમ રહ્યો હતો.
ધોનીએ ડિસેમ્બરની ૨૩મીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વર્ષ પૂરા કર્યા હતા. તેણે ૯૦ ટેસ્ટની ૧૪૪ ઈનિંગ્સમાં ૩૮.૦૯ રનની સરેરાશ સાથે કુલ ૪,૮૭૬ રન નોંધાવ્યા હતા, જેમાં છ સદી અને ૩૩ અર્ધ સદીનો સમાવેશ થાય છે. ધોનીએ ૬૦ ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી, જેમાં તેણે ૨૭ ટેસ્ટમાં ભારતને વિજય અપાવ્યો હતો, ૧૮ મેચમાં પરાજય સાથે ૧૫ ટેસ્ટનું પરિણામ અનિર્ણીત રહ્યું હતું. ટેસ્ટ મેચોમાં વિકેટકીપર તરીકેની ભૂમિકામાં ૨૫૬ કેચ અને ૩૮ સ્ટમ્પિંગ કર્યા છે.
