લંડનવાસી મીનાબેન પટેલને ‘ધર્મજરત્ન’ એવોર્ડ અપાશે
ધર્મજઃ ચરોતરના ગતિશીલ ગામ ધર્મજ ખાતે દર વર્ષે યોજાતા ‘ધર્મજ ડે’ની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વૈશ્વિક ગામ તરીકે જેણે ઓળખ ઊભી કરી છે તેવા ધર્મજના મૂળ વતનીઓ વિશ્વભરમાં પથરાયેલાં છે. વતન પરસ્તીની ભાવના જેમના ભારોભાર ભરેલી છે તેવા આ સૌ ધર્મજીયનોને વર્ષમાં એક વખત એકબીજાને મળવા માટેનું સરનામું એટલે ‘ધર્મજ ડે’.
નવમા ‘ધર્મજ ડે’ની તૈયારીઓ અંગે ઉજવણી સમિતિના સભ્ય રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ શુકનવંતા અને કંકુવર્ણા લાલ રંગની છે. તે મુજબ ખાસ ડિઝાઇનના આમંત્રણ પત્રો મોકલાયા છે. વિદેશવાસી ધર્મજીયનોને ઇન્ટરનેટ તથા ફેસબુકથી પત્રો મોકલ્યા છે.
દીકરીઓને યાદ કરીને બોલાવતું આ ધર્મજ પોતાના ગામની પુત્રવધૂઓને પણ પુત્રી સમાન માને છે. જે ભાવ દર વર્ષે અપાતા એવોર્ડમાં પણ પ્રતિબિંબિત થાય છે. નવમા ‘ધર્મજ ડે’માં આ પરંપરાને જાળવી રાખી ‘ધર્મજ રત્ન’ એવોર્ડ ગામના પુત્રવધૂ અને લંડનવાસી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પોર્સેલીન આર્ટીસ્ટ સુશ્રી મીનાબેન પટેલને એનાયત કરાશે. તેઓ માત્ર દસ વર્ષની ઉંમરથી જ આ કલા ક્ષેત્રે કાર્યરત છે. તેમણે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન પણ મેળવ્યા છે.
