પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ આસ્તિક

લંડનઃ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ઈશ્વર અને જીવન પછીના જીવન કે પુનર્જીવનની બાબતમાં વધુ આસ્તિકતા ધરાવતી હોવાનું સંશોધકો જણાવે છે. સ્ત્રીઓમાં ૭૫ ટકા શ્રદ્ધાળુ એટલે કે આસ્તિક હોય છે, જ્યારે પુરુષોમાં આ સંખ્યા ૫૦ ટકાથી પણ ઓછી છે. ૬૦ ટકા સ્ત્રીઓ પુનર્જીવનમાં માને છે, જ્યારે માત્ર ૩૫ ટકા પુરુષ આમ માને છે. ૬૩ ટકા પુરુષો મૃત્યુને અંતિમ પડાવ માને છે.
લંડનની ધ યુસીએલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન દ્વારા ૧૯૭૦માં જન્મેલા ૧૭,૦૦૦ લોકોના જીવનને અનુસરતી બ્રિટિશ કોહોર્ટ સ્ટડીના ભાગરૂપે ૯,૦૦૦ વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી. આ અભ્યાસમાં ૫૪ ટકા પુરુષો નીરિશ્વરવાદી કે અજ્ઞેયવાદી હતા, જ્યારે ૩૪ ટકા સ્ત્રી આમ માનતી હતી. જોકે, ૩૬ ટકા નીરિશ્વરવાદી કે નાસ્તિક સ્ત્રીઓ પણ જીવન પછીના જીવન અંગે સંપૂર્ણ સ્પષ્ટ ન હતી.
આ અભ્યાસમાં અડધાથી વધુ લોકો ક્રિશ્ચિયન હતા, જ્યારે મોટા ભાગના બાકીનાએ તેમનો કોઈ ધર્મ ન હોવાનું જણાવ્યું હતું. આ તારણો સ્ત્રીઓ વધુ ધાર્મિક હોવાના તેમ જ ખ્રિસ્તી ચર્ચો ભક્તો અને પાદરીઓ તરીકે તેમના પર વધુ ભરોસો રાખતા હોવાના નિર્દેશોને સમર્થન આપે છે.
અભ્યાસના આલેખક પ્રોફેસર ડેવિડ વોઆસ કહે છે કે,‘આસ્તિકોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ સ્પષ્ટ મતની અને નાસ્તિકોમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધુ સ્પષ્ટ મતના હોવાની શક્યતા રહે છે. જોકે, આમ શા માટે તેનો કોઈ દેખીતો ઉત્તર નથી.’
