કોર્ટના ૧૩૦ પાનાના ચુકાદામાં એક પણ ક્રિકેટરનું નામ નહિ?!

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટચાહકોને ફરી રમતમાં વિશ્વસનીયતા અને પારદર્શકતાની આશા જાગે તેવો સીમાચિહન રૂપ ચુકાદો આપ્યો છે તે સાચું, પણ ૧૩૦ પાનાના રિપોર્ટમાં કોર્ટે શ્રીનિવાસન્, મયપ્પન્, કુન્દ્રા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની જ ઝાટકણી કાઢી છે. મુદ્ગલ કમિટીએ જે ખેલાડીઓની પૂછપરછ કરી હતી તેમની સંદિગ્ધ ભૂમિકાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.
જો મયપ્પન સટોડિયો હોવાનું સુપ્રીમ કોર્ટ માને છે અને તે ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ હોવાનું તથા તે મેદાન પર પણ હાજર રહેતો હોવાનું પુરવાર થયું છે તો ચેન્નઈ સુપર કિંગ્સના સિનિયર ખેલાડીઓ અને ટીમ મેનેજર તેની જોડે રણનીતિની ચર્ચા કરતા જ હોય તેમાં શંકા નથી. આ ઉપરાંત મુદગલના રિપોર્ટમાં ક્રિકેટર નંબર બે અને અગિયારની ઘનિષ્ઠ પૂછપરછનો પણ અહેવાલ આવી ચૂક્યો છે. જોકે પુરાવા ના મળે ત્યાં સુધી આ હાઇપ્રોફાઇલ ખેલાડીઓની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે મુદ્ગલ કમિટીએ ખેલાડીઓના નામ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટના જજોને સોંપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં એક પણ ક્રિકેટરનું નામ કે તેઓની ભૂમિકા, નિર્દોષતાના સંદર્ભમાં પણ જાહેર નહીં કરતાં કુતૂહલ સર્જાય તે સ્વાભાવિક છે.
