• તમામ બ્રિટિશ તરુણોને મેનિન્જાઈટિસની રસી અપાશે
બ્રિટન જાહેર આરોગ્યની કટોકટીમાં સપડાયું હોવાની ચેતવણીઓ મધ્યે ૧૪થી ૧૮ વર્ષ વચ્ચેના તમામ તરુણોને મેનિન્જાઈટિસની નવી રસી આપવામાં આવશે. મેનિન્જાઈટિસના ભારે આક્રમક સબટાઈપનો ચેપ અટકાવવા ૩૦ લાખ તરુણોને રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવશે. ગત પાંચ વર્ષમાં મેનિન્જોકોકલ ડબલ્યુ પ્રકારના કેસમાં પાંચ ગણો વધારો થવાના કારણે આરોગ્ય વિભાગે તત્કાળ નિર્ણય લેવો પડ્યો છે.
બ્રિટન જાહેર આરોગ્યની કટોકટીમાં સપડાયું હોવાની ચેતવણીઓ મધ્યે ૧૪થી ૧૮ વર્ષ વચ્ચેના તમામ તરુણોને મેનિન્જાઈટિસની નવી રસી આપવામાં આવશે. મેનિન્જાઈટિસના ભારે આક્રમક સબટાઈપનો ચેપ અટકાવવા ૩૦ લાખ તરુણોને રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવશે. ગત પાંચ વર્ષમાં મેનિન્જોકોકલ ડબલ્યુ પ્રકારના કેસમાં પાંચ ગણો વધારો થવાના કારણે આરોગ્ય વિભાગે તત્કાળ નિર્ણય લેવો પડ્યો છે.
• કેર હોમ્સ અને હોસ્પિટલોએ રેટિંગ્સ દર્શાવવા પડશે
નિયંત્રક સંસ્થાઓ દ્વારા તપાસ કરાયેલા ૨૫૦૦થી વધુ કેર હોમ્સ, હોસ્પિટલ્સ અને જીપી સર્જરીએ તેમની સંભાળ સારી કે ખરાબ છે તે દર્શાવતા ઈન્સ્પેક્શન રેટિંગ્સ પહેલી એપ્રિલથી ફરજિયાત દર્શાવવાના રહેશે. સારસંભાળની સેવા આપનાર તમામ તેઓ નોંધપાત્ર, સારા, નિષ્ફળ અથવા ખરાબ છે તેમ જણાવતા સ્કોર તેમના દરવાજે લગાવવા કાનૂની રીતે બંધાયેલા રહેશે. આના પરિણામે, લોકોને વધુ સારો વિકલ્પ પસંદ કરવામાં મદદ મળશે.
• સીરિયા જતી પાંચમી છોકરીને અટકાવાઈ
પોલીસે ઈસ્લામિક સ્ટેટ (Isil) સાથે જોડાવા જતી બેથ્નલ ગ્રીન એકેડેમીની ૧૫ વર્ષની પાંચમી વિદ્યાર્થિનીને ડિસેમ્બરમાં સીરિયાના પ્રવાસે જતી અટકાવી હતી. તેના વિમાનને રન-વે પર જ અટકાવાયું હતું. જોકે, આ જ શાળાની તેની ત્રણ મિત્ર- કદીઝા સુલતાના, અમિરા અબાઝે અને શમિમા બેગમ ગત ફેબ્રુઆરીમાં સીરિયા પહોંચવામાં સફળ થઈ હતી. આ છોકરીએ તેના પેરન્ટ્સને છેતરી નાણા એકત્ર કર્યાં હતાં.
• કેદી જામીનનો બનાવટી પત્ર આપી જેલમાંથી ભાગી છૂટ્યો
એક ચાલાક ઉચાપતખોર નીલ મૂરે બ્રિટનની સૌથી સુરક્ષિત વોન્ડ્સવર્થ જેલમાંથી નાસી છૂટવા કોર્ટ દ્વારા અપાયેલો બનાવટી જામીનપત્ર રજૂ કર્યો હતો. જેલનો સ્ટાફ બનાવટી જામીનપત્ર ઓળખવામાં નિષ્ફળ ગયો હતો. તેને £૧.૮ મિલિયનના ફ્રોડના ગુના માટે સાઉથ લંડનની આ કેટેગરી બી જેલમાં રખાયો હતો. નીલ ત્રણ દિવસ જેલની બહાર રહ્યો હતો, પરંતુ વિચાર બદલાઈ જતા તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
• નેશનલ ટ્રસ્ટની ઈમારતોથી ઈમિગ્રન્ટ્સને બ્રિટિશ હોવાની લાગણી થશે
નેશનલ ટ્રસ્ટની ભવ્ય ઈમારતોનું દર્શન ઈમિગ્રન્ટ્સને તેઓ વધુ બ્રિટિશ હોવાની લાગણી કરાવશે તેમ સંસ્થાના ચેરમેન ટીમ પાર્કર માને છે. નેશનલ ટ્રસ્ટની ૩૦૦ ઐતિહાસિક ઈમારતો અને ૬૨૦,૦૦૦ એકરનો ગ્રામ્યવિસ્તાર ઈમિગ્રન્ટ્સને બ્રિટિશ આઈલ્સના ઈતિહાસ સાથે સંકળાવામાં મદદ કરશે. લોકોને કશા સાથે સંકળાવાનું ગમે છે, તેમ પાર્કરે કહ્યું હતું.
