ભૂજની NRI કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા
ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે.
ભૂજઃ ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે. આ ત્રણેય મકાનના માલિકો મુંબઇ, લંડન અને મોમ્બાસા વસતા હોવાથી શું ચોરાયું તે હજુ સ્પષ્ટ થયું નથી. એન.આર.આઇ. નગરના પ્રવેશદ્વાર પાસે જ આવેલા બંગલા નંબર ૨,૩ અને ૪ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બારીના કાચ તોડી થયેલી જગ્યામાંથી ઘરની અંદર ઘૂસી તેના દ્વારા દરવાજો અંદરથી ખોલાવી ત્રણેય જગ્યાએ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો. ચોરીની આ ઘટના વિશે સોસાયટીના પ્રમુખ કર્નલ એમ.એસ. જોહરે જિલ્લા પોલીસ અધિક્ષકને વાકેફ કરતાં પોલીસ દોડી આવી હતી. ભૂજ-માધાપર હાઇવે ઉપર આવેલી આ કોલોની નજીક મોટી સંખ્યામાં ભુજિયાના કામમાં રોકાયેલા પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે તેવા સમયમાં કેસની સર્વગ્રાહી તપાસ પોલીસ કરે તથા રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવામાં આવે તેવી રહેવાસીઓએ માગણી કરી હતી.
